ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,25 જાન્યુઆરી 2022
મંગળવાર.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ લોન અને સંબંધિત નિયમો, જનજાગૃતિનો અભાવ, KYC નિયમોનું ઉલ્લંઘન જેવા ગંભીર મુદ્દાઓને ટાંકીને દેશભરની આઠ નાગરિક સહકારી બેંકો સામે એક સાથે શિક્ષાત્મક પગલાં લીધાં છે. આ બેંકોને એક થી ચાર લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે.
નાગરિક સહકારી બેંકોની કામગીરી પર RBI ચાંપતી નજર રાખતી હોય છે. આ દરમિયાન RBIએ નોંધ્યું હતું કે સુરતની એસોસિએટ કો-ઓપ બેંકે ડાયરેક્ટર્સ અને તેમના સંબંધીઓ માટે નાણાં ધિરાણ કરતી વખતે KYC નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. તે માટે RBIએ ધ એસોસિએટ કો-ઓપ બેંક પર ચાર લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
સુરતની વરાછા કો-ઓપ બેંકને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બેંકે ડિપોઝિટર્સ અવેરનેસ ફંડ અંગેના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈમાં મોગવીરા કો-ઓપ બેંકને RBIએ બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગ્રાહકના KYC નિયમોનું પાલન ન કરવા બદલ રિઝર્વ બેંક દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
GST પોર્ટલે ફરી ઉભી કરી વેપારીઓ માટે આફત, વેપારીઓને આવી ફરી નોટિસ; જાણો વિગત
RBI દ્વારા વસઈ જનતા સહકારી બેંકને નાગરિક સહકારી બેંકના નિર્દેશકો અંગેના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાજકોટ પીપલ્સ કો-ઓપ બેંકના ડાયરેક્ટરના લોન સંબંધી નિયમોને કારણે આ બેંકને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય ભંડારી કો-ઓપ અર્બન બેંકને બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
RBIએ જમ્મુ સેન્ટ્રલ કો-ઓપ બેંક અને જોધપુરની જોધપુર સિટીઝન્સ કો-ઓપરેટિવ બેંકને પણ એક-એક લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. રિઝર્વ બેંકએ એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં નાગરિક સહકારી બેંકો સામે કાર્યવાહી કરી હોય તેવું તાજેતરમાં પહેલી વખત બન્યું છે.