News Continuous Bureau | Mumbai
QR Code ReKYC Deadline દેશભરમાં ચાની લારી, શાકભાજીની રેકડી અને કરિયાણાની નાની દુકાનો ચલાવતા લાખો નાના વેપારીઓ માટે ડિજિટલ વ્યવહારોને લઈને મોટો પડકાર ઊભો થયો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા પેમેન્ટ એગ્રીગેટર્સ અને યુપીઆઈ કલેક્શન પ્લેટફોર્મ્સ માટે જારી કરાયેલા કડક રીકેવાયસી (ReKYC) નિયમો હેઠળ ૧૫ સપ્ટેમ્બરની આખરી તારીખ નક્કી કરવામાં આવી છે. જો આ નિર્ધારિત તારીખ સુધીમાં વેપારીઓ પોતાની બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ નહીં કરે, તો તેમના સ્ટોલ પર લાગેલા પેમેન્ટ ક્યૂઆર કોડ્સ (QR Codes) બ્લોક અથવા અસ્થાયી રૂપે નિષ્ક્રિય થઈ જવાનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે.
QR Code Re-KYC Deadline – શા માટે લેવાયો આ નિર્ણય અને શું છે સમસ્યા?
ડિજિટલ નાણાકીય છેતરપિંડી, બોગસ મર્ચન્ટ એકાઉન્ટ્સ અને સાયબર ફ્રોડ દ્વારા થતા મની લોન્ડરિંગને રોકવા માટે રિઝર્વ બેંકે પેમેન્ટ કંપનીઓને જૂના તમામ વેપારીઓની ઓળખ અને બિઝનેસ લોકેશનનું ફિઝિકલ તેમજ ડિજિટલ વેરિફિકેશન કરવા આદેશ આપ્યો છે. જોકે, પેટીએમ (Paytm), ફોનપે (PhonePe) અને ગૂગલ પે (Google Pay) જેવી કંપનીઓ પાસે નોંધાયેલા લાખો અનૌપચારિક અને નાના દુકાનદારો પાસે જીએસટી (GST), દુકાન સ્થાપના લાઈસન્સ કે સત્તાવાર વેપારી સરનામાના પુરાવા હોતા નથી. જટિલ કાગળિયા અને ઓછી જાગરૂકતાના કારણે અંદાજે ૩૦ થી ૩૫ ટકા નાના ઓફલાઇન વેપારીઓ હજુ સુધી આ પ્રક્રિયા પૂરી કરી શક્યા નથી.
QR Code Re-KYC Deadline – સામાન્ય ગ્રાહકો અને નાના ધંધાર્થીઓ પર કેવી અસર પડશે?
આ નિયમનો ભોગ સામાન્ય યુપીઆઈ યુઝર્સ નહીં બને, પરંતુ જે વેપારીઓની રી-કેવાયસી પ્રક્રિયા અધૂરી રહી જશે તેમના ક્યૂઆર કોડ પર નાણાં સ્વીકારવાનું સેટલમેન્ટ અટકી શકે છે. રોજિંદા ધોરણે માત્ર ઓનલાઇન કેશલેસ ટ્રાન્ઝેક્શન પર નિર્ભર રહેતા લારી-ગલ્લાવાળા વેપારીઓ માટે પેમેન્ટ બ્લોક થવાથી સીધો વેપાર ઠપ થઈ જવાની ચિંતા ઊભી થઈ છે. ઘણી જગ્યાએ પેમેન્ટ એગ્રીગેટર્સના એજન્ટો ઘરે-ઘરે કે દુકાને જઈને ફિઝિકલ વેરિફિકેશન કરી રહ્યા છે, પરંતુ વિશાળ સંખ્યાને પહોંચી વળવા માટે કંપનીઓ પાસે પણ સ્ટાફની અછત વર્તાઈ રહી છે.
QR Code Re-KYC Deadline – પેમેન્ટ એગ્રીગેટર્સે આરબીઆઈ પાસે માંગી વધુ મુદત
૧૫ સપ્ટેમ્બરની ડેડલાઇન નજીક હોવાથી દેશભરની અગ્રણી ફિનટેક કંપનીઓ અને પેમેન્ટ એસોસિએશને રિઝર્વ બેંક સમક્ષ રજૂઆત કરીને આ સમયમર્યાદા લંબાવવાની માંગણી કરી છે. તેમનું કહેવું છે કે નાના વેપારીઓને ડિજિટલ ઇકોસિસ્ટમમાંથી બહાર થતાં અટકાવવા માટે દસ્તાવેજી નિયમો સરળ બનાવવા જોઈએ અને વધારાનો સમય આપવો જોઈએ. દરમિયાન, નિષ્ણાતોએ તમામ વેપારીઓને સલાહ આપી છે કે તેઓ પોતાની બિઝનેસ પેમેન્ટ એપ ઓપન કરી રી-કેવાયસી માટે માંગવામાં આવેલા આધાર, પાન અને બેંક એકાઉન્ટની વિગતો તાત્કાલિક અપલોડ કરી લે જેથી સેવાઓ અવિરત ચાલુ રહી શકે.
👉 આ સમાચાર વાચો:
PM Modi Vadodara Event BookMyShow રોક કોન્સર્ટ જેવો માહોલ! PM મોદીના વડોદરા કાર્યક્રમ માટે BookMyShow પર પાસ મુકાતાં જ મિનિટોમાં બુકિંગ હાઉસફુલ
