News Continuous Bureau | Mumbai
RBI Gold Reserves Return 2026। જ્યારે વાત જીવનભરની કમાણીની હોય ત્યારે આપણે તેને સૌથી સુરક્ષિત જગ્યાએ રાખવા માંગીએ છીએ. ભારત અત્યારે દેશના ખજાના સાથે આવું જ કરી રહ્યું છે. દાયકાઓથી ભારતનું સોનું લંડન અને ન્યૂયોર્કની તિજોરીઓમાં સુરક્ષિત માનવામાં આવતું હતું, પરંતુ હવે ભારતીય રિઝર્વ બેંક (RBI) ઝડપથી આ સોનું ભારત પરત લાવી રહી છે. આ માત્ર એક આર્થિક પગલું નથી, પરંતુ બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં ભારતની અર્થવ્યવસ્થાને સુરક્ષિત રાખવાની એક મોટી રણનીતિ છે.
તિજોરીઓ બદલવા પાછળના ચોંકાવનારા આંકડા
રિઝર્વ બેંકના તાજા આંકડા (ઓક્ટોબર ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬) મુજબ, ભારત પાસે અત્યારે કુલ ૮૮૦.૫૨ મેટ્રિક ટન સોનું છે. જેમાંથી આશરે ૭૭ ટકા એટલે કે ૬૮૦ ટન સોનું હવે દેશની અંદર જ સુરક્ષિત રાખવામાં આવ્યું છે. છેલ્લા છ મહિનામાં જ ૧૦૪.૨૩ ટન સોનું વિદેશથી ભારત પરત લાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે માર્ચ ૨૦૨૩ સુધી ભારતનું માત્ર ૩૭ ટકા સોનું જ દેશમાં હતું, જે હવે વધીને ૭૭ ટકા થઈ ગયું છે.
વિદેશી સંપત્તિ પર કેમ તોળાઈ રહ્યો છે ખતરો?
રશિયા-યુક્રેન યુદ્ધ બાદ પશ્ચિમી દેશો દ્વારા રશિયાના રિઝર્વ ફંડ પર જે રીતે રોક લગાવવામાં આવી, તેણે દુનિયાભરની સેન્ટ્રલ બેંકોની ઊંઘ ઉડાવી દીધી છે. ભારતને સમજાયું છે કે અન્ય દેશોમાં રાખેલી સંપત્તિ રાજકીય નિર્ણયોથી સંપૂર્ણ સુરક્ષિત નથી. નિષ્ણાતોના મતે, આજના તૂટતા વૈશ્વિક નાણાકીય તંત્રમાં જો સોનું તમારા પ્રત્યક્ષ કબજામાં નથી, તો તે વાસ્તવમાં તમારું નથી. ભારતનું આ પગલું એક ‘સ્ટ્રેટેજિક ઈન્સ્યોરન્સ’ સમાન છે, જેથી સંકટ સમયે આપણી સંપત્તિ આપણી પહોંચમાં રહે.
માત્ર ભારત જ નહીં, સમગ્ર વિશ્વમાં મચી છે હોડ
ઐતિહાસિક રીતે લંડન અને ન્યૂયોર્ક સોનાના વેપારના કેન્દ્રો રહ્યા છે, પરંતુ હવે ફ્રાન્સ, જર્મની અને પોલેન્ડ જેવા દેશો પણ પોતાની રણનીતિ બદલી રહ્યા છે. ફ્રાન્સે ૧૨૯ ટન સોનું ન્યૂયોર્કથી પેરિસ શિફ્ટ કર્યું છે, જ્યારે જર્મની પણ પોતાનું સોનું પરત મંગાવી રહ્યું છે. કુલ વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો હોવા છતાં, ભારતના ભંડારમાં સોનાનો હિસ્સો ૧૩.૯ ટકાથી વધીને ૧૬.૭ ટકા થયો છે, જે દર્શાવે છે કે ભારત પોતાની બુનિયાદ મજબૂત કરી રહ્યું છે.
👉 આ સમાચાર વાચો:
LPG Cylinder Delivery Record 2026। ગેસ પુરવઠો સામાન્ય હોવા છતાં દેશભરમાં ફફડાટ એક જ દિવસમાં અધધ આટલા લાખ સિલિન્ડરનું વિતરણ
