News Continuous Bureau | Mumbai
Sridhar Vembu। ઝોહો કોર્પોરેશનના સ્થાપક અને ટેક દિગ્ગજ શ્રીધર વેંબુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર અમેરિકામાં રહેતા ભારતીયોને ઉદ્દેશીને એક હૃદયસ્પર્શી ખુલ્લો પત્ર લખ્યો છે. ૩૭ વર્ષ પહેલાં પોતે અમેરિકા ગયા હતા તે દિવસોને યાદ કરતા વેંબુએ ભારતીય મૂળના વ્યાવસાયિકોને ભારત પાછા આવીને દેશના વિકાસમાં સહભાગી બનવા આહ્વાન કર્યું છે.
રાજકીય સંઘર્ષમાં ભારતીયોની સ્થિતિ
વેંબુએ પત્રમાં અમેરિકાની વર્તમાન રાજકીય સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે લખ્યું કે, “તમે કદાચ માનતા હશો કે આગામી ચૂંટણી આ સમસ્યાઓ ઉકેલી દેશે, પરંતુ તમારી પસંદગી એવા લોકો વચ્ચે છે જેઓ ભારતીય સંસ્કૃતિને ધિક્કારે છે અથવા તો જેઓ સભ્યતાને જ ધિક્કારે છે.” તેમણે આ લડાઈને ‘હાર્ડ રાઈટ’ (Hard Right) અને ‘વોક લેફ્ટ’ (Woke Left) વચ્ચેની ગણાવીને કહ્યું કે અમેરિકામાં રહેતા ભારતીયો આ સંઘર્ષમાં માત્ર એક પ્રેક્ષક બનીને રહી ગયા છે.
આંતરરાષ્ટ્રીય સન્માન અને ભારતની પ્રગતિ
શ્રીધર વેંબુએ સ્પષ્ટ કર્યું કે ભારતીયોને વિશ્વભરમાં મળતું સન્માન ભારતની પોતાની આર્થિક અને ટેકનોલોજીકલ ક્ષમતા પર નિર્ભર છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે જો ભારત ગરીબ રહેશે, તો પશ્ચિમી દેશો આપણને દયા કે તિરસ્કારથી જ જોશે. સાચું સન્માન, સમૃદ્ધિ અને સુરક્ષા ત્યારે જ મળશે જ્યારે ભારત પોતાની ટેકનોલોજીકલ પાવર સાબિત કરશે. તેમણે અફસોસ વ્યક્ત કર્યો કે ભારતે પોતાના શ્રેષ્ઠ બ્રેઈન પાવરને અમેરિકામાં નિકાસ કરી દીધો છે.
‘ભારત પાછા ફરો’ – એક મિશનરી ઝીલ સાથે
પત્રના અંતે વેંબુએ અપીલ કરી છે કે, “ઘણી મુશ્કેલીઓ હોવા છતાં, કૃપા કરીને ઘરે પાછા ફરો. ભારત માતાને તમારા ટેલેન્ટની જરૂર છે.” તેમણે કહ્યું કે ભારતના વિશાળ યુવાધનને યોગ્ય દિશા અને ટેકનોલોજીકલ નેતૃત્વની જરૂર છે. વેંબુએ ભારતીયોને અપીલ કરી છે કે તેઓ વિદેશમાં મેળવેલા અનુભવ સાથે પરત ફરે અને એક ‘મિશનરી ઝીલ’ (Missionary Zeal) સાથે ભારતનું ભવિષ્ય ઘડવામાં પોતાનું યોગદાન આપે.
👉 આ સમાચાર વાચો:
Shani Vakri 2026| શનિદેવના આશીર્વાદ ૧૩૮ દિવસ સુધી આ રાશિઓનું બદલાશે ભાગ્ય, માલામાલ થવાની તૈયારીમાં આ ૩ રાશિઓ
