ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 ફેબ્રુઆરી 2021
બોરીવલી પૂર્વ તેમજ કાંદીવલી પૂર્વમાં અને ઇમારતો ના પુનર્વિકાસ નું કામ અભેરાઈ પર ચડ્યુ છે. આનું પ્રમુખ કારણ છે સેન્ટ્રલ ઓર્ડિનન્સ ડેપો એટલે કે સી.ઓ.ડી ની જમીન. સરકારી કાયદા મુજબ આ ડેપો ની આસપાસ ઊંચી ઇમારત બનાવતા પહેલા જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તેમજ સંરક્ષણ વિભાગ ની પણ મંજૂરી લેવી પડે છે. આ સંદર્ભે લોકોને તકલીફ ન થાય તેમજ પુનર્વિકાસ નો પ્રશ્ન લાંબો સમય અટકેલો ન રહે તે માટે ઉત્તર મુંબઈના સાંસદ ગોપાળ શેટ્ટીએ ઘણા પ્રયત્નો કર્યા છે. આ સંદર્ભે ભૂતકાળમાં તેમણે દિવંગત સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકર, તેમજ જીતેન્દ્રસિંહ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે ચર્ચા પણ કરી હતી. જોકે હજી સુધી આ મામલે કોઈ નિવેડો આવ્યો નથી. હાલમાં જ આ સંદર્ભે ગોપાલ શેટ્ટીએ સંસદમાં શૂન્યકાળ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહને લેખિતમાં પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્નના ઉત્તર માં રાજનાથસિંહે લેખિતમાં જણાવ્યું કે કોઈ પણ ઈમારત જે સેન્ટ્રલ ઓર્ડિનન્સ ડેપો ની પાસે આવેલી છે તેના વિકાસ સંદર્ભે ૨ વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે છે. પ્રથમ સ્થાનિક રહેવાસીઓની ઈચ્છા અને બીજું મિલેટ્રી ઇન્સ્ટોલેશન ની સુરક્ષા. આ બંને વસ્તુને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. તેમજ જ્યારે નિર્ણય લેવામાં આવશે ત્યારે તમને તેની જાણકારી અપાશે.
સરકારના જવાબથી એક વિષય સ્પષ્ટ છે કે ઈમારતોના વિકાસ સંદર્ભે અત્યાર સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. તેમજ જે નિર્ણય લેવા ની પ્રક્રિયા કેટલી આગળ વધી છે તે સંદર્ભે પણ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
