ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,
શનિવાર,
મેટ્રો-3ના પ્રસ્તાવિત કારશેડના જગ્યા માટેનો 2014ની સાલથી ચાલી રહેલો વિવાદ ફરી ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એવી શક્યતા છે. આરે કોલોનીમાં આવેલી કારશેડની જગ્યાનું હજી સુધી સ્થળાંતર થયું ન હોવાથી આરેમાંથી આ કારશેડ હટાવવા માટે ફરી લડવા પર્યાવરણપ્રેમીઓએ કમર કસી લીધી છે. રવિવારે આરેના પિકનીક પોઇન્ટ પર સવારના 10 વાગ્યાની આસપાસ પર્યાવરણ પ્રેમીઓ મોર્ચો કાઢવાના છે.
આરેમાં મેટ્રો-3નો કારશેડ ઊભો કરવાનો નિર્ણય ભાજપ-શિવસેના યુતિ સરકાર વખતે લેવાયો હતો. આ નિર્ણય સામે શરૂઆતથી પર્યાવરણવાદીઓ વિરોધ કરી રહ્યા હતા. શિવસેનાએ પણ તેની સામે વિરોધ કર્યો હતો. શિવસેના-ભાજપ છૂટ્ટા પડ્યા પછી શિવસેનાએ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા છે.
મુંબઈમાં કોરોના નિયંત્રણમા. માર્ચ મહિનાથી મુંબઈની તમામ સ્કૂલો ઓફલાઈન શરૂ; જાણો વિગત
બે વર્ષ પહેલા રાજ્ય સરકારે આરેને બદલે કાંજુરમાર્ગ માં મેટ્રો-3નું કારશેડનું સ્થળાંતર કરવાનું વચન આપ્યું હતું. જોકે કાંજુરમાર્ગના કારશેડની જગ્યાની માલિકીનો વિવાદ કોર્ટ સુધી પહોંચી ગયો છે. તેથી હાલ આરેમાથી કારશેડને હટાવવાની કોઈ હિલચાલ જણાતી નથી. તેમ જ આરેની મેટ્રો કારશેડની જગ્યામાં પણ ચોરીછૂપેથી કામ ચાલી રહ્યું હોવાનો આરોપ પર્યાવરણપ્રેમીઓ કરી રહ્યા છે.
હાલ આરેમાં મેટ્રો-3નના કારશેડની જગ્યા પર બેરિકેટ્સ નાખવામાં આવી રહ્યા છે. આ વિષય પર બાંધકામ ખાતા પાસેથી કોઈ જવાબ નહીં મળતા પર્યાવરણપ્રેમીઓ ઉશ્કેરાઈ ગયા છે. રાજ્ય સરકાર પાસેથી આ બાબતે જવાબ પણ માગ્યો છે. સરકાર તરફથી કોઈ પ્રતિસાદ મળતો ન હોવાને કારણે પર્યાવરણવાદીઓએ રવિવારે સવારના આરે કોલોનીમાં આંદોલન કરવાના છે.
