News Continuous Bureau | Mumbai
Goregaon Fire મુંબઈના ગોરેગાંવ પશ્ચિમ વિસ્તારમાં આજે એક ભીષણ આગની દુર્ઘટના સર્જાઈ હતી. મેટ્રો લાઇનને અડીને આવેલા એક ડેકોરેશન મટિરિયલના યુનિટમાં અચાનક આગ ફાટી નીકળતા સ્થાનિક રહીશો અને મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આગની જ્વાળાઓ અને ધુમાડો મેટ્રો લાઇન સુધી પહોંચતા થોડા સમય માટે ભયનું વાતાવરણ સર્જાયું હતું. જોકે, મુંબઈ ફાયર બ્રિગેડની ટીમે ત્વરિત કાર્યવાહી કરી આગને વધુ ફેલાતી અટકાવી હતી.
બાંગુર નગર મેટ્રો સ્ટેશન પાસે આવેલી દુકાનમાં આગ
મળતી વિગતો અનુસાર, ગોરેગાંવ પશ્ચિમમાં બાંગુર નગર મેટ્રો સ્ટેશનની નજીક અને ડી-માર્ટની બિલકુલ સામે આવેલા મોતીલાલ નગર નંબર-૨ માં આ ઘટના બની હતી. અહીં આવેલી ‘નિધિ ડેકોરેટર્સ’ નામની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. દુકાનમાં શણગારનો સામાન, જે અત્યંત જ્વલનશીલ હોય છે, તે હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર-દૂર સુધી દેખાતા હતા, જેનાથી મેટ્રોમાં મુસાફરી કરતા લોકોમાં પણ ચિંતા પ્રસરી હતી.
કોઈ જાનહાનિ નહીં, ફાયર બ્રિગેડની સમયસૂચકતા
આગ લાગતા જ આસપાસની દુકાનો અને રહેણાંક વિસ્તારોમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી. ફાયર બ્રિગેડની ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે આગ બાજુના અન્ય ગાલાઓ કે નજીકના રહેણાંક મકાનો સુધી ફેલાતી અટકી હતી, જેનાથી મોટી હોનારત ટળી હતી.
શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા
આગ મેટ્રો લાઇનની અત્યંત નજીક હોવાથી સાવચેતીના ભાગરૂપે મેટ્રો લાઇન નીચેના રસ્તા પર ટ્રાફિક અને લોકોની અવરજવર પર થોડો સમય નિયંત્રણ લાદવામાં આવ્યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા ફાયર વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં કુલિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને આગના કારણની સત્તાવાર તપાસ ચાલુ છે.
👉 આ સમાચાર વાચો:
મુંબઈ મેટ્રોના નવા ટાઈમટેબલની જાહેરાત આવતીકાલથી શરૂ થશે લાઇન 9 અને 2B, જાણો ટ્રેનનો સમય અને રૂટની વિગતો
