News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અજિત પવારના આકસ્મિક નિધન બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાની પાસે રાખેલું નાણા મંત્રાલય ફરી એકવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP – અજિત પવાર જૂથ) ને સોંપવાનો નિર્ણય લીધો છે. NCP ના વરિષ્ઠ સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી ત્રણથી ચાર મહિનામાં આ મહત્વનું ખાતું ફરી પક્ષ પાસે આવશે.અજિત પવારના અવસાન બાદ નાયબ મુખ્યમંત્રી પદ અને અન્ય ખાતાઓ સુનેત્રા પવારને સોંપવામાં આવ્યા હતા, પરંતુ નાણા ખાતું મુખ્યમંત્રીએ પોતાની પાસે રાખ્યું હતું. જેના કારણે ભાજપે NCP ની શક્તિ ઘટાડી હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે, મુખ્યમંત્રી ફડણવીસે સુનેત્રા પવાર, પાર્થ પવાર અને જય પવાર સાથેની બેઠક બાદ આ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
અજિત પવારની પકડ અને મંત્રાલયનો નિર્ણય
અજિત પવાર મહારાષ્ટ્રના નાણા વિભાગ પર મજબૂત પકડ ધરાવતા હતા અને તેમણે 11 વખત બજેટ રજૂ કર્યું હતું. તેમના નિધન બાદ નાણા વિભાગ અત્યારે મુખ્યમંત્રી પાસે રહેવો જોઈએ તેવો નિર્ણય NCP ના નેતાઓ સાથેની ચર્ચા બાદ જ લેવામાં આવ્યો હતો. હવે સ્થિતિ સામાન્ય થતા મુખ્યમંત્રીએ આ તિજોરીની ચાવીઓ ફરી પવાર પરિવાર અને NCP ને સોંપવા માટે લીલી ઝંડી આપી દીધી છે.
આ સમાચાર પણ વાંચો :India or Pakistan: ભારત સાથે મિત્રતા કે પાકિસ્તાન પ્રત્યે પ્રેમ? બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ તારિક રહેમાનનો અસલી ગેમપ્લાન શું હશે?
સુનેત્રા પવાર બનશે NCP ના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ
નાયબ મુખ્યમંત્રી પદની સાથે સાથે સુનેત્રા પવાર હવે સંગઠનમાં પણ મોટી જવાબદારી સંભાળશે. આગામી પખવાડિયામાં સુનેત્રા પવારની NCP (અજિત પવાર જૂથ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે બિનહરીફ પસંદગી કરવામાં આવશે. પક્ષમાં તેમના નામનો કોઈ વિરોધ નથી, જે દર્શાવે છે કે અજિત પવાર બાદ પક્ષની કમાન હવે સુનેત્રા પવારના હાથમાં સુરક્ષિત છે.
પવાર પરિવાર અને ફડણવીસ વચ્ચેની કેમિસ્ટ્રી
રાજકીય વિશ્લેષકોના મતે, દેવેન્દ્ર ફડણવીસ પવાર પરિવાર સાથેના સંબંધોમાં સંતુલન જાળવી રાખવા માંગે છે. પાર્થ પવાર અને જય પવારની હાજરીમાં થયેલી આ ચર્ચા સૂચવે છે કે આગામી દિવસોમાં રાજ્ય સરકારમાં NCP નું મહત્વ જળવાઈ રહેશે. નાણા ખાતું પરત મળવાથી પક્ષના કાર્યકરોમાં પણ નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
