News Continuous Bureau | Mumbai
Mumbai CSMT Station Fire। મુંબઈના સૌથી વ્યસ્ત અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન ધરાવતા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સ્ટેશન ખાતે આજે ભીષણ આગની ઘટના બની હતી. સ્ટેશનના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે જ્યાં બાંધકામની કામગીરી ચાલી રહી છે, તે સાઈટ પર અચાનક આગ ફાટી નીકળી હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાના અહેવાલ નથી.
ઘટનાસ્થળે દોડી ગઈ ફાયર બ્રિગેડની ટીમો
રિડેવલપમેન્ટ સાઈટ પર બાંધકામ મટીરીયલ અથવા કામચલાઉ માળખામાં આગ લાગતા ધુમાડાના કાળા ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા. આગની ગંભીરતા જોતા રેલવે સુરક્ષા દળ (RPF) અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે બાંધકામ વિસ્તારની આસપાસનો ભાગ તુરંત ખાલી કરાવી દેવામાં આવ્યો હતો, જેથી કોઈપણ મોટી દુર્ઘટના અટકી શકે.
હેરિટેજ બિલ્ડિંગને નુકસાનથી બચાવાયું
ફાયર ફાઈટરોની સતત જહેમત બાદ આગ પર ટૂંકા સમયમાં કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની સમયસૂચકતાને કારણે આગ સ્ટેશનના મુખ્ય ઐતિહાસિક હેરિટેજ બિલ્ડિંગ સુધી ફેલાઈ નહોતી, જે એક મોટી રાહતની વાત છે. અત્યારે ઘટનાસ્થળે કૂલિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.
આગનું કારણ અને તપાસ
પ્રાથમિક તપાસ મુજબ, આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાની શંકા સેવાઈ રહી છે. જોકે, રેલવે પ્રશાસન અને અગ્નિશમન વિભાગ દ્વારા આગના ચોક્કસ કારણો જાણવા માટે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે. રેલવે અધિકારીઓ અત્યારે બાંધકામ સાઈટ પર થયેલા આર્થિક નુકસાનનો અંદાજ મેળવી રહ્યા છે. ટ્રેન વ્યવહાર પર આ ઘટનાની કોઈ મોટી અસર પડી નથી.
👉 આ સમાચાર વાચો:
Castor Seed Market : એરંડામાં સ્ટોકિસ્ટોની લેવાલી અને અલનિનોના ભયથી તેજીનો મૂડ
