News Continuous Bureau | Mumbai
Lalbaug Jain Temple Theft: મુંબઈના લાલબાગવિસ્તારમાં આવેલા પ્રતિષ્ઠિત ‘અવિઘ્ન સ્ટેટ મુનિસુવ્રત સ્વામી જૈન મંદિર’ માં તસ્કરોએ મોટી ચોરીને અંજામ આપતા ખળભળાટ મચી ગયો છે. મંદિરમાંથી ભગવાનના અંદાજે ₹1.75 કરોડ ની કિંમતના અમૂલ્ય આભૂષણોની ચોરી થઈ છે. આ ઘટનાની જાણ થતા જ કાલાચૌકી પોલીસેગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મુખ્ય દરવાજાનો નકૂચો તોડી તસ્કોરોએ કર્યો અંદર પ્રવેશ
ઘટનાની વિગતો મુજબ, મંદિર રાત્રે બંધ થયા બાદ તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું અને નકૂચો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. વહેલી સવારે જ્યારે પૂજારી મંદિર પહોંચ્યા ત્યારે તેમને દરવાજો ખુલ્લો અને તાળું તૂટેલું જણાયું હતું. અંદર જઈને તપાસ કરતા ભગવાન સીમંધર સ્વામીની મૂર્તિ પર શણગારેલા ₹1.5 કરોડના સોનાના આભૂષણો અને ₹25 લાખની કિંમતનો હીરાનો ટીકો ગાયબ હતા. પૂજારીએ તુરંત ટ્રસ્ટીઓને જાણ કરી હતી, જેમણે પોલીસને પાઠવી હતી.
આ સમાચાર પણ વાંચો : Mumbai Hotel Death Case: મુંબઈની ટ્રાઈડેન્ટ હોટલમાં બ્રિટિશ નાગરિકનો મૃતદેહ મળતા ખળભળાટ: નરીમાન પોઈન્ટ વિસ્તારમાં સનસનાટી, પોલીસે તપાસ તેજ કરી
સીસીટીવીમાં કેદ થયો શંકાસ્પદ શખ્સ, પોલીસે કરી ઓળખ
કાલાચૌકી પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરી અને ઘરફોડનો ગુનો દાખલ કર્યો છે. તપાસ દરમિયાન પોલીસે મંદિર અને અવિઘ્ન સ્ટેટ (Avighna State) પરિસરના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ કેદ થઈ છે અને પોલીસે તેની ઓળખ પણ કરી લીધી છે. આ રીઢો ગુનેગાર હોવાની આશંકા છે જેણે અગાઉ પણ આવા ધાર્મિક સ્થળોને નિશાન બનાવ્યા હોઈ શકે છે.
મુદ્દામાલ રિકવર કરવા પોલીસની અલગ-અલગ ટીમો રવાના
હાલમાં કાલાચૌકી પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો આરોપીને પકડવા માટે રવાના કરવામાં આવી છે. પોલીસને આશા છે કે ટૂંક સમયમાં જ મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવશે અને ચોરાયેલો તમામ કિંમતી મુદ્દામાલ રિકવર કરી લેવામાં આવશે. લાલબાગ જેવા વ્યસ્ત વિસ્તારમાં આટલી મોટી ચોરી થતા અન્ય મંદિરોની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા થયા છે.
