News Continuous Bureau | Mumbai
Siddhivinayak Temple Scam: મુંબઈના વિશ્વ પ્રસિદ્ધ પ્રભાદેવી સ્થિત શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરઅત્યારે વહીવટી વિવાદના ઘેરામાં આવ્યું છે. લાખો ભક્તોની શ્રદ્ધાના કેન્દ્ર સમાન આ મંદિરના વહીવટમાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતાના ગંભીર આરોપો લાગ્યા છે. રાજ્ય સરકારના કાયદા અને ન્યાય વિભાગે આ મામલે કડક વલણ અપનાવતા મંદિરના બે ઉચ્ચ અધિકારીઓને નોટિસ ફટકારી છે અને 7 દિવસમાં ખુલાસો રજૂ કરવા આદેશ આપ્યો છે.
પોતાના જ ટ્રસ્ટીઓએ કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ
મળતી માહિતી મુજબ, સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના બે વિશ્વસ્તો અને અન્ય ત્રણ સ્વતંત્ર ફરિયાદીઓએ આ મામલે સરકારમાં ફરિયાદ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો છે કે કાર્યકારી અધિકારી વીણા પાટીલ અને ઉપકાર્યકારી અધિકારી સંદીપ રાઠોડ દ્વારા વહીવટી કામમાં પારદર્શિતા રાખવામાં આવતી નથી. આર્થિક વ્યવહારોમાં ગેરરીતિ અને સત્તાનો દુરુપયોગ થતો હોવાના પુરાવા સાથે આ ફરિયાદ કરવામાં આવી છે, જેનાથી સમગ્ર પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે.
આ સમાચાર પણ વાંચો: Healthcare Cost Reduction India:મેડિકલ સ્ટોર પર છૂટક દવાનું વેચાણ: દર્દીઓની સુવિધા માટે લેવાયો ઐતિહાસિક નિર્ણય, જાણો નવા નિયમો વિશે
ટેન્ડર પ્રક્રિયા અને મહાપ્રસાદના કોન્ટ્રાક્ટ શંકાના દાયરામાં
કાયદા અને ન્યાય વિભાગે આ આરોપોની તપાસ માટે મંદિરના મહત્વના દસ્તાવેજો તાત્કાલિક રજૂ કરવા આદેશ આપ્યો છે. તપાસના દાયરામાં નીચે મુજબના મુદ્દાઓ મુખ્ય છે:
ટેન્ડર પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ અસલી કાગળો.
ટેન્ડર પેટા સમિતિની બેઠકોની મિનિટ્સ (નોંધણી).
વિશ્વસ્ત મંડળ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની વિગતો.
સૌથી મહત્વનું, અન્ન અને મહાપ્રસાદ સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટ અને કરારની તપાસ થશે.
ભાવિકોની આસ્થા અને પ્રશાસનની છબી પર સવાલ
થોડા દિવસો પહેલા જ મંદિરમાં ચોરીના આરોપમાં આઠ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી, અને હવે ઉચ્ચ અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપો લાગતા મંદિરની છબીને ફટકો પડ્યો છે. ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવતા દાનનો યોગ્ય ઉપયોગ થાય છે કે નહીં, તેવો પ્રશ્ન હવે સામાન્ય જનતા પૂછી રહી છે. જો આગામી 7 દિવસમાં અધિકારીઓ સંતોષકારક જવાબ નહીં આપે, તો તેમની સામે કડક વહીવટી અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
