ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 સપ્ટેમ્બર 2020
ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી મહારાષ્ટ્ર સરકારે મુંબઈના મધ્યમાં આવેલાં આરેના જંગલોમાંથી મેટ્રો 3 કાર શેડને સ્થળાંતર કરવા તત્પર હોવાનો સંકેત આપી દીધો છે. સ્થળ પરથી બાંધકામ સામગ્રીને બહાર કાઢવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. મુંબઇ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસી) ના પ્રોજેક્ટ ડિરેક્ટરએ જણાવ્યું હતું કે કાર શેડ સાઇટને બંધ કરી સુરક્ષિત બનાવવામાં આવી રહી છે. તેમજ બાંધકામનો ભંગાર કાઢી નાખવામાં આવી રહ્યો છે અને ખાડા ભરવામાં આવી રહ્યા છે. જેથી લોકોની સલામતીમાં કોઈ જોખમમાં ન રહે. આ અંગે વિસ્તૃત વર્ણન કરતાં મેટ્રોના અધિકારી એ કહ્યું હતું કે આરે સ્થળ પર કોઈ નવું કામ કરવામાં આવી રહ્યું નથી. અમે ફક્ત સામગ્રી દૂર કરી રહ્યા છીએ. અમે પહેલાં જ કામ બંધ કરી દીધું છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા લાવવામાં આવેલી ઘણી સામગ્રી અન્ય સ્થળે ખસેડવામાં આવી છે
મુખ્યમંત્રી પદના શપથ લીધા પછી તરત જ ઉદ્ધવ ઠાકરેએ શહેરની મધ્યમાં આવેલો ગ્રીન પટ્ટો આરે કોલોનીમાં મેટ્રો કારશેડ બાંધકામો પર રોક મુકવાની જાહેરાત કરી હતી. અહીં નોંધપાત્ર વાત એ છે કે ભૂતકાળમાં આરેમાં આવેલો સૂચિત મેટ્રો કાર શેડ વિવાદના કેન્દ્રમાં રહ્યો છે, કારણ કે ભૂતકાળમાં પર્યાવરણવાદીઓએ અહીં બાંધકામ અટકવવા માટે અનેક કાયદાકીય પડકારો ઉભા કરવામાં આવ્યાં હતાં.
મહારાષ્ટ્ર સરકારે 2 સપ્ટેમ્બરના રોજ આશરે 600 એકર જેટલી જમીનને આરે અનામત વન તરીકે જાહેર કરવાનું નક્કી કર્યું હતું. ઠાકરેએ ટ્વીટ કર્યું હતું કે, "આશરે 600 એકર ખુલ્લી જમીન જંગલ તરીકે જાહેર કરવામાં આવી રહી છે, જ્યારે અહીં વસતા આદિવાસી સમુદાયોના તમામ હકો સુરક્ષિત રહેશે. આ વિસ્તારની ઝૂંપડપટ્ટીઓનું પુનર્વસન ઝડપી અને જલ્દી જ કરવામાં આવશે." પોતાના નિર્ણયનો બચાવ કરતાં ઉદ્ધવ ઠાકરેએ 2 સપ્ટેમ્બરે કહ્યું હતું કે "આરે વિસ્તારમાં જમીનના ભાગમાં બનાવવામાં આવી રહેલા મેટ્રો રેલવે કારશેડને, તેના પર પહેલાથી થયેલાં ખર્ચને અસર કર્યા વિના કેવી રીતે ખસેડવામાં આવી શકે છે તે શોધવા નિષ્ણાતોની સલાહ લેવામાં આવી હતી." મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, "માળખાકીય સુવિધાના વિકાસની સાથે વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ તેમજ પર્યાવરણને સુરક્ષિત રાખવું અમારી ફરજ છે."
વિપક્ષી નેતા અને ભૂતપૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પર આકરા પ્રહારો કરતાં ઠાકરેએ કહ્યું કે 'જ્યારે ફડણવીસ મુખ્યમંત્રી હતા ત્યારે મેટ્રોના બાંધવાના માર્ગમાં નડતા સેંકડો ઝાડ અડધી રાત્રે કાપવામાં આવ્યા હતા અને આ કાર્ય અટકાવવા સ્થળ પર પહોંચેલા અનેક સામાજિક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.'
ઉલ્લેખનીય છે કે ગઈ 2 સપ્ટેમ્બરના રોજ, મહારાષ્ટ્ર સરકારે આશરે 600 એકર આરે જંગલને અનામત વન તરીકે જાહેર કર્યું હતું..
