ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જાન્યુઆરી 2022
શુક્રવાર.
છેલ્લા કેટલાક દિવસોમાં મુંબઈમાં નવા કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે અને આજે કોરોના મુક્ત લોકોની સંખ્યા પણ વધુ છે. શહેરમાં ગુરુવારે કોરોનાના 1,384 નવા દર્દીઓ મળી આવ્યા છે. જે ગઈ કાલ કરતા પણ ઓછી છે.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,384 નવા કેસ આવ્યા તેમજ 12 દર્દીઓના મોત નીપજ્યા છે. મુંબઈમાં નવા કેસ સામે આવ્યા પછી સંક્રમણના કેસ વધીને 1,041,747 થઈ ગયા છે. કોરોનાથી મૃત્યુઆંક વધીને 16,581 થઈ ગયો છે. આ દરમિયાન 5,686 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા પણ હવે 10,04,384 પર પહોંચી ગઈ છે અને રિકવર થવાનું પ્રમાણ 96 ટકા પર યથાવત રહ્યું છે.
મુંબઈમાં ગુરુવારે 42,570 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 1384 નવા નિદાન થયેલા દર્દીઓમાંથી 184 હોસ્પિટલમાં છે અને અન્ય ઘરેથી સારવાર લઈ રહ્યા છે. આજે મળી આવેલા નવા દર્દીઓમાંથી 1,162 દર્દીઓમાં કોઈ લક્ષણો જ નહોતા. 37 હજાર 827 બેડમાંથી માત્ર 2,927 બેડ નો ઉપયોગ થયો છે.
શહેરમાં 28 બિલ્ડીંગને સીલ કરાઈ છે. ત્યાં પાંચ અને પાંચ કરતાં વધુ કોરોનાના દર્દી છે. હાલ શહેરમાં કોરોનાના 18,040 સક્રિય કેસ છે. જ્યારે શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી થવાનો સમયગાળો વધીને 194 દિવસ થયો છે.