News Continuous Bureau | Mumbai
Goregaon Building Fire મુંબઈના ગોરેગાંવ ઈસ્ટ વિસ્તારમાં આવેલી હાઈરાઈઝ બિલ્ડિંગમાં શુક્રવારે સવારે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોકુલધામ પાસે કૃષ્ણા વાટિકા રોડ પર આવેલી ગ્રાઉન્ડ પ્લસ 45 માળની ‘ડીબી વુડ’ બિલ્ડિંગના 9મા માળે આગ લાગી હોવાની જાણકારી મળતા જ મુંબઈ ફાયર બ્રિગેડના કાફલાએ ઘટનાસ્થળે દોડી જઈ બચાવ કામગીરી શરૂ કરી હતી.ગરિકો દ્વારા સવારે 09:11 વાગ્યે ઘટનાની જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે સવારે 09:25 વાગ્યે તેને લેવલ-1 (Level-1) ની આગ જાહેર કરી હતી. આગ બિલ્ડિંગના 9મા માળના એક ફ્લેટના બેડરૂમમાં ફેલાઈ હતી, જેમાં ઇલેક્ટ્રિક વાયરિંગ, ઘરવખરીનો સામાન અને રસોડાના સાધનો લપેટમાં આવ્યા હતા. બિલ્ડિંગની પોતાની ફાયર ફાઈટિંગ સિસ્ટમ ની મદદથી આગ પર કાબૂ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
રહેવાસીઓનું રેસ્ક્યુ અને ઇવેક્યુએશન
આગની તીવ્રતાને જોતા સાવચેતીના ભાગરૂપે બિલ્ડિંગમાં રહેતા લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. ઘણા રહેવાસીઓને બિલ્ડિંગના રિફ્યુજ એરિયાઅને ટેરેસ પર સુરક્ષિત રીતે મોકલી દેવાયા હતા. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ, હજુ સુધી આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થયાના સમાચાર નથી, જે રાહતની વાત છે.
મોટા પાયે સંસાધનો અને એજન્સીઓ કાર્યરત
આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડ દ્વારા 4 ફાયર એન્જિન (FE), 4 જમ્બો ટેન્કર (JT), 1 એરિયલ વોટર ટાવર (AWTT), અને ક્વિક રિસ્પોન્સ વ્હિકલ (QRV) સહિતનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ઘટનાસ્થળે ADFO, સિનિયર સ્ટેશન ઓફિસર અને સ્ટેશન ઓફિસરો બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ કામગીરીમાં પોલીસ, વીજ કંપનીના કર્મચારીઓ અને 108 એમ્બ્યુલન્સની (Ambulance) ટીમ પણ તૈનાત છે.
આ સમાચાર પણ વાંચો : AI Summit 2026: ભારત બનશે વિશ્વનું ‘AI હબ’! ભારત મંડપમમાં પિચાઈ અને ઓલ્ટમેન સાથે PM મોદીની ખાસ બેઠક, જાણો કેવી રીતે બદલાશે આપણી દુનિયા.
આગ લાગવાનું સંભવિત કારણ
પ્રાથમિક તપાસમાં આગ ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશનમાં ખામીને કારણે લાગી હોવાનું જણાય છે. અત્યારે ફાયર ફાઈટિંગની કામગીરી ચાલુ છે અને સ્થિતિ કાબૂમાં હોવાનું જણાવાયું છે. મુંબઈ મહાનગરપાલિકા (BMC) ના વોર્ડ સ્ટાફ દ્વારા પણ ઘટનાસ્થળે જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. હાઈરાઈઝ બિલ્ડિંગ હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા દરેક માળનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
