News Continuous Bureau | Mumbai
Mumbai Language Row મુંબઈમાં ભાષા અને પ્રાંતવાદનો વિવાદ ફરી એકવાર સપાટી પર આવ્યો છે. દક્ષિણ મુંબઈના પોશ ગણાતા મલબાર હિલ વિસ્તારમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે મનસે દ્વારા ગુજરાતી ભાષામાં લખાયેલા સાઈનબોર્ડ અને નામની તકતીઓનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. મનસેના સ્થાનિક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ આ વિસ્તારની કેટલીક હાઉસિંગ સોસાયટીઓ અને વ્યાપારી સંસ્થાનોની બહાર લાગેલા ગુજરાતી બોર્ડ સામે વાંધો ઉઠાવ્યો છે. મનસેએ મહારાષ્ટ્ર સરકારના સત્તાવાર નિયમોનો હવાલો આપીને ચેતવણી આપી છે કે જો આ બોર્ડ ટૂંક સમયમાં હટાવવામાં નહીં આવે અથવા તેમાં સુધારો કરવામાં નહીં આવે તો તેઓ પોતાના અંદાજમાં આંદોલન કરશે.
Mumbai Language Row : મરાઠી ભાષાના કાયદાનું ઉલ્લંઘન થતું હોવાનો મનસેનો આક્ષેપ
મનસેના નેતાઓએ આ મામલે આક્રમક વલણ અપનાવતા જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં કોઈપણ વ્યાપારી દુકાન કે સોસાયટીના મુખ્ય બોર્ડ પર મરાઠી ભાષા દેવનાગરી લિપિમાં હોવી કાયદાકીય રીતે અનિવાર્ય છે. મલબાર હિલ જેવા વિસ્તારોમાં મરાઠી ભાષાને ગૌણ રાખીને અથવા તેને સંપૂર્ણપણે હટાવીને માત્ર ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે રાજ્ય સરકારના નિયમોનું ખુલ્લું ઉલ્લંઘન છે. મનસેના કાર્યકર્તાઓએ સોસાયટીના મેનેજમેન્ટ અને દુકાનદારોને રૂબરૂ મળીને પત્રો સોંપ્યા છે અને કાયદા મુજબ મરાઠી બોર્ડ મોટા અક્ષરોમાં લગાવવાની માંગ કરી છે.
Mumbai Language Row : ભૂતકાળમાં પણ મુંબઈ અને થાણેમાં થઈ ચૂકી છે તોડફોડ
ઉલ્લેખનીય છે કે મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં સાઈનબોર્ડ પર મરાઠી ભાષાનો ઉપયોગ કરવાના મુદ્દે ભૂતકાળમાં પણ ભારે હોબાળો થઈ ચૂક્યો છે. સુપ્રીમ કોર્ટ અને બોમ્બે હાઈકોર્ટે પણ પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે મહારાષ્ટ્રની તમામ દુકાનો પર મરાઠી સાઈનબોર્ડ હોવા ફરજિયાત છે. આ નિયમ બાદ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અનેક દુકાનદારોને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જોકે, મલબાર હિલની તાજેતરની ઘટનાએ આ વિવાદને ફરીથી રાજકીય વળાંક આપી દીધો છે, કારણ કે આ વિસ્તારમાં ગુજરાતી ભાષી મુંબઈગરાઓની વસ્તી નોંધપાત્ર પ્રમાણમાં છે.
Mumbai Language Row : શાંતિ જાળવવા અને વિવાદ ન વધારવા પોલીસ તંત્ર એલર્ટ
મનસેની આ ચિમકી બાદ મલબાર હિલ અને ગ્રાન્ટ રોડ આસપાસના વિસ્તારોમાં કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે મુંબઈ પોલીસ સજ્જ થઈ ગઈ છે. પોલીસે સોસાયટીના પદાધિકારીઓ અને મનસેના કાર્યકર્તાઓ બંનેને શાંતિ જાળવવાની અપીલ કરી છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે તેઓ કાયદાનું સન્માન કરે છે અને નિયમ મુજબ ફેરફાર કરવા તૈયાર છે, પરંતુ તેને રાજકીય મુદ્દો બનાવીને વિવાદ ઊભો કરવો યોગ્ય નથી. આ ઘટના સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચાનો વિષય બની છે અને લોકો મરાઠી વિરુદ્ધ ગુજરાતી ભાષાના મુદ્દે પોતપોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે.
