News Continuous Bureau | Mumbai
Mumbai Local Update। મુંબઈની લોકલ ટ્રેનોમાં મુસાફરી કરતા લાખો પ્રવાસીઓ માટે રાહતના સમાચાર છે. વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેએ 1 મે, 2026 થી એસી લોકલ અને 15કોચ ટ્રેનોની સેવામાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ ફેરફારથી ખાસ કરીને પીક અવર્સમાં મુસાફરી કરતા લોકોની ક્ષમતા અને સુવિધામાં વધારો થશે.
પશ્ચિમ રેલવે: 15-કોચ અને એસી સેવામાં મોટો ફેરફાર
પશ્ચિમ રેલવેના સીપીઆરઓ (CPRO) વિનીત અભિષેકના જણાવ્યા મુજબ, 1 મેથી 17 જેટલી 12-કોચની નોન-એસી સેવાઓને 15-કોચમાં ફેરવવામાં આવશે. આ સાથે જ 12 વધારાની એસી લોકલ સેવાઓ શરૂ કરવામાં આવશે, જે અગાઉની સામાન્ય ટ્રેનોના સ્થાને દોડશે. પશ્ચિમ રેલવે પર એસી સેવાઓની કુલ સંખ્યા હવે 133 થી વધીને 145 થશે. જોકે, ટ્રેનોની કુલ સંખ્યામાં કોઈ ફેરફાર થશે નહીં, પરંતુ 15-કોચની સેવાઓ 227 થી વધીને 244 થઈ જશે.
વિરાર-દહાણુ રૂટ પર ઈતિહાસ રચાશે
મુંબઈના દૂરના ઉપનગરો માટે પણ સારા સમાચાર છે. વિરાર-દહાણુ રોડ સેક્શનમાં પ્રથમવાર 15-કોચની લોકલ ટ્રેનો શરૂ કરવામાં આવશે. આ સેક્શનમાં કુલ 8 સેવાઓ શરૂ થશે, જેનાથી મુસાફરોની વહન ક્ષમતામાં મોટો વધારો થશે. જોકે, ઓપરેશનલ કારણોસર આ 15-કોચની ટ્રેનો બંને દિશામાં ગ્રાન્ટ રોડ, ચર્ની રોડ અને મરીન લાઈન્સ સ્ટેશન પર ઉભી રહેશે નહીં, તેમજ દાદર સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર ‘ડબલ હોલ્ટ’ લેશે.
હાર્બર લાઈન પર એસી ટ્રેનોનો દબદબો
મધ્ય રેલવેએ પણ હાર્બર લાઈન (CSMT-પનવેલ) પર 14 વધારાની એસી લોકલ સેવાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 1 મેથી મધ્ય રેલવે પર કુલ એસી સેવાઓની સંખ્યા 108 પર પહોંચી જશે, જેમાં 28 હાર્બર લાઈન પર અને 80 મેઈન લાઈન પર કાર્યરત રહેશે. આ ફેરફારથી નવી મુંબઈ તરફ જતા પ્રવાસીઓને એસી મુસાફરીનો વધુ લાભ મળશે.
👉 આ સમાચાર વાચો:
Narsimha Jayanti 2026। આજે ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય પર્વ, જાણો પૂજાના શુભ મુહૂર્ત અને પારણાનો સમય
