News Continuous Bureau | Mumbai
Mumbai Local મુંબઈ લોકલ અને લાંબા અંતરની ટ્રેનોમાં ટિકિટ વિના મુસાફરી કરતા લોકો સામે મધ્ય રેલવેએ લાલ આંખ કરી છે. રેલવે પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા મુજબ, નવા નાણાકીય વર્ષ 202627ના શરૂઆતના માત્ર બે મહિના એટલે કે એપ્રિલ અને મે દરમિયાન જ ટિકિટ વગર પ્રવાસ કરતા 4.30 લાખ ખુદાબક્ષોને પકડી પાડવામાં આવ્યા છે. આ નિયમ તોડનારા મુસાફરો પાસેથી રેલવેની ટિકિટ ચેકિંગ ટીમે ₹30.13 કરોડનો રેકોર્ડબ્રેક દંડ વસૂલ કર્યો છે. રેલવે વિભાગની આ આક્રમક ઝુંબેશને કારણે ટિકિટ બારીઓ પર પણ ભીડમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
Mumbai Local: ગત વર્ષની સરખામણીમાં કમાણીમાં 150% થી વધુનો મોટો વધારો
સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝન દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, ગત વર્ષના સમાન ગાળાની સરખામણીએ આ વર્ષે કરવામાં આવેલી દંડાત્મક કાર્યવાહીમાં જબરદસ્ત વધારો નોંધાયો છે. ગત વર્ષે એપ્રિલ અને મે મહિનામાં રેલવેએ 2.75 લાખ કેસ નોંધીને ₹12.02 કરોડનો દંડ વસૂલ્યો હતો. જ્યારે આ વર્ષે કેસની સંખ્યામાં 56 ટકા અને રેલવેની કમાણીમાં 150 ટકાથી વધુનો તોતિંગ વધારો થયો છે. માત્ર મે મહિનાની જ વાત કરીએ તો, રેલવેએ 2.02 લાખ ટિકિટ વગરના પ્રવાસીઓ પાસેથી ₹14.00 કરોડની વસૂલાત કરી છે, જે રેલવેના ઈતિહાસમાં એક મોટો આંકડો માનવામાં આવી રહ્યો છે.
Mumbai Local: એસી લોકલ અને ફર્સ્ટ ક્લાસના મુસાફરો પણ દંડાયા
સામાન્ય રીતે સેકન્ડ ક્લાસના ડબ્બાઓમાં જ ખુદાબક્ષો વધુ જોવા મળતા હોય છે, પરંતુ રેલવેની આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન એસી લોકલ અને ફર્સ્ટ ક્લાસના કોચમાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એપ્રિલ અને મે મહિનામાં એસી લોકલમાં ટિકિટ વિના કે અયોગ્ય ટિકિટ સાથે મુસાફરી કરતા 25,924 પ્રવાસીઓ ઝડપાયા હતા, જેમની પાસેથી ₹80.97 લાખનો દંડ લેવાયો છે. આ ઉપરાંત, લોકલ અને મેલ-એક્સપ્રેસ ટ્રેનોના ફર્સ્ટ ક્લાસ કોચમાંથી 23,447 કેસ નોંધીને ₹74.61 લાખ તથા ટ્રેનમાં બુકિંગ કરાવ્યા વગર સામાન લઈ જતા લોકો પાસેથી ₹19.45 લાખ વસૂલવામાં આવ્યા છે.
Mumbai Local: રેલવે પ્રશાસનની મુસાફરોને સન્માનપૂર્વક પ્રવાસ કરવાની અપીલ
રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે, પ્રમાણિકતાથી ટિકિટ ખરીદીને મુસાફરી કરતા પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે અને રેલવેની આવકને નુકસાન ન થાય તે માટે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ હંમેશા કાયદેસરની ટિકિટ અથવા વેરિફાઈડ પાસ ખરીદીને જ ટ્રેનમાં સવાર થાય. વિના ટિકિટે પ્રવાસ કરવો એ કાનૂની ગુનો છે અને પકડાવા પર જેલની સજા અથવા ભારે દંડ થઈ શકે છે. આથી મુસાફરોએ સન્માનપૂર્વક અને જવાબદારી સાથે મુસાફરી કરવી જોઈએ.
👉 આ સમાચાર વાચો:
Putin hails India ties વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો! પુતિને કહ્યું પીએમ મોદીને ડરાવવા કે ઝુકાવવા એ અમેરિકાના વશની વાત નથી.
