ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઑક્ટોબર, 2021
ગુરુવાર
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ચોથી ઑક્ટોબરથી શાળાઓ ફરી ચાલુ કરી દેવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારમાં વિદ્યાર્થીઓએ સ્કૂલમાં ફરી ભણવામાં રસ બતાવ્યો છે. એની સામે મુંબઈમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ સ્કૂલ ચાલુ થઈને 3 દિવસ થયા છતાં સ્કૂલમાં ગયા જ નથી. મુંબઈમાં આઠથી બારમા ધોરણના ક્લાસમાં 7લાખ 27 હજાર વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ છે, પરંતુ આ વિદ્યાર્થીઓમાંથી માત્ર બે લાખ 28 હજાર વિદ્યાર્થીઓએ જ બુધવાર સુધી સ્કૂલમાં હાજરી પુરાવી છે. મુંબઈની સરખામણીમાં થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લામાં વિદ્યાર્થીઓની સ્કૂલમાં હાજરી મોટા પ્રમાણમાં રહી છે.
દક્ષિણ મુંબઈની સ્કૂલોમાં હાજરી ઓછી જણાઈ છે. એનું એક કારણ કદાચિત લોકલ ટ્રેનમાં મંજૂરી નહીં હોવાનું જણાય છે. દક્ષિણ મુંબઈની જુદી જુદી શાળાઓમાં 1,72,063 વિદ્યાર્થીઓ છે. એમાંથી 41,921 વિદ્યાર્થી બુધવારે શાળામાં આવ્યા હતા, તો ઉત્તર મુંબઈમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા હતા. બે લાખ 17 હજાર વિદ્યાર્થીમાંથી એક લાખ 7 હજાર વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા હતા. પશ્ચિમ મુંબઈમાં કૉલેજની સંખ્યા વધુ હોવાથી વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધારે છે. પશ્ચિમ મુંબઈમાં 3,97,697 વિદ્યાર્થી છે, એમાંથી ફક્ત 78,904 વિદ્યાર્થીઓ આવ્યા હતા.
વિદ્યાર્થીઓને બહુ જલદી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી મળે એવી શક્યતા છે. એથી સ્કૂલ, કૉલેજમાં આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધશે એવો અંદાજ છે, તો કોરોનાનું સંકટ હજી પૂરી રીતે ટળ્યું નથી. એથી વાલીઓ પોતાનાં બાળકોને સ્કૂલમાં મોકલતા ગભરાઈ રહ્યા હોવાનું સ્કૂલ પ્રશાસનનું કહેવું છે.
મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લામાં હજી સુધી 31,000 શિક્ષકો પણ સ્કૂલમાં ગયા નથી. મુંબઈની 1,775 સ્કૂલમાં 35,000 શિક્ષકો છે, એમાંથી26,000 શિક્ષકો સ્કૂલમાં હાજર થઈ ગયા છે.
