News Continuous Bureau | Mumbai
Mumbai Food Poisoning। મુંબઈમાં એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના ટૂંકા ગાળામાં મોત નિપજતા ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં આ મોતનું કારણ ‘ફૂડ પોઈઝનિંગ’ હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
શું બની હતી ઘટના?
મૃતકોમાં ૪૦ વર્ષીય પુરુષ, તેમની ૩૫ વર્ષીય પત્ની અને તેમની ૧૬ તથા ૧૩ વર્ષની બે પુત્રીઓનો સમાવેશ થાય છે. આ પરિવારે અન્ય ૫ સંબંધીઓ સાથે રાત્રિનું ભોજન લીધું હતું. સંબંધીઓ જમીને પરત ગયા બાદ, રાત્રે ૧:૦૦ થી ૧:૩૦ વાગ્યાની આસપાસ આ પરિવારે ઘરે તરબૂચનું સેવન કર્યું હતું. ત્યારબાદ વહેલી સવારે ૫:૩૦ થી ૬:૦૦ વાગ્યાની વચ્ચે પરિવારના તમામ ચાર સભ્યોને ઉલટી અને ઝાડાની ગંભીર તકલીફ શરૂ થઈ હતી.
સારવાર દરમિયાન એક પછી એક સભ્યનું નિધન
પરિવારજનોને તાત્કાલિક સ્થાનિક ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હાલત નાજુક હોવાથી તેમને જે.જે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના જણાવ્યા મુજબ, સવારે ૧૦:૧૫ વાગ્યે નાની પુત્રીએ દમ તોડ્યો હતો. ત્યારબાદ રાત્રે ૧૦:૩૦ વાગ્યે પિતાનું અવસાન થયું હતું. ક્રમશઃ માતા અને મોટી પુત્રીએ પણ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પોસ્ટમોર્ટમ અને તપાસ
જે.જે. માર્ગ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો કેસ નોંધવામાં આવ્યો છે અને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ડોક્ટરોએ જણાવ્યું છે કે મૃત્યુ પાછળનું સાચું કારણ જાણવા માટે હવે ‘હિસ્ટોપેથોલોજી’ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે રાત્રિના ભોજનમાં કંઈક ઝેરી હતું કે પછી તરબૂચના સેવન બાદ કોઈ રાસાયણિક પ્રતિક્રિયા થઈ હતી.
👉 આ સમાચાર વાચો:
Wildlife Smuggling। ચેમ્બુરમાં હાથીદાંતની તસ્કરીનો પર્દાફાશ ચાર આરોપીઓની ધરપકડ, લાખોની કિંમતના બે હાથીદાંત જપ્ત
