News Continuous Bureau | Mumbai
કાયદાના શાસનને ન્યાયના શાસન દ્વારા બદલવું જોઈએ. કાયદાનું શાસન અપરાધને કાયદેસર બનાવી શકે છે, જ્યારે ન્યાયનું શાસન ન્યાયની સ્થાપના કરી શકે છે”: યુગભૂષણસૂરીજી મહારાજ સાહેબ.
મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે વસુધૈવ કુટુમ્બકમ કી ઓર કોન્ક્લેવમાં બુધવારે વિવિધ મુદ્દે ચર્ચા થવા ઉપરાંત ભાવિ પેઢીને રાષ્ટ્ર નિર્માણના આ મહાન કાર્યમાં જોડી રાખવા માટે ત્રિપક્ષીય કરાર પણ થયા હતા.
બુધવારે કોન્ક્લેવ દરમિયાન આર્થિક વ્યવસ્થાની સામ્રાજ્યવાદમાંથી મુક્તિ, ભારતીય સભ્યતાનાં મૂલ્યો અને સમકાલીન વૈશ્વિક વિમર્શમાં વસુધૈવ કુટુમ્બકમની પ્રસ્તુતતા પર કેન્દ્રિત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
દિવસની શરૂઆત ‘આર્થિક વ્યવસ્થાની સામ્રાજ્યવાદમાંથી મુક્તિ’ વિષય ઉપર પેનલ સાથે થઈ હતી. આ ચર્ચાનું સંચાલન ઇન્ડિયા ફાઉન્ડેશનના ડાયરેક્ટર શૌર્ય ડોભાલ દ્વારા કરવામાં આવ્યું હતું. પેનલમાં સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના ગ્રુપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર સૌમ્ય કાંતિ ઘોષ; નાલંદા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર સચિન ચતુર્વેદી; અને રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર એમ. કે. જૈન ઉપસ્થિત રહ્યા હતા.
વક્તાઓએ પ્રવર્તમાન વૈશ્વિક આર્થિક વ્યવસ્થાની માળખાગત મર્યાદાઓ તરફ ધ્યાન દોર્યું હતું અને આર્થિક સાર્વભૌમત્વ, નાણાકીય અસમાનતાઓ અને નૈતિક સંતુલન, સર્વસમાવેશકતા તથા લાંબા ગાળાની ટકાઉક્ષમતા પર આધારિત વૈકલ્પિક મોડલ્સની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
આ દિવસનું મુખ્ય આકર્ષણ મુંબઈ યુનિવર્સિટી, ગીતાર્થ ગંગા અને જ્યોત ફાઉન્ડેશન વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર હતા. આ સમજૂતીનો ઉદ્દેશ્ય શિક્ષણ, સંશોધન અને સંવાદ દ્વારા ભવિષ્યની પેઢીઓને સક્રિયપણે જોડીને વસુધૈવ કુટુમ્બકમના વિચારને સંયુક્ત રીતે આગળ ધપાવવાનો છે. આ સમગ્ર કાર્યક્રમ 79th આધ્યાત્મિક સાર્વભૌમ જૈનાચાર્ય યુગભૂષણસૂરી મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

બપોરના સમયે, ‘વસુધૈવ કુટુમ્બકમ અને સંક્રમણ કાળ’ વિષય પરનું સત્ર કોન્ક્લેવના મૂળ સભ્યતાના વિચાર પર ફરીથી કેન્દ્રિત હતું. વક્તાઓ નેટવર્ક18 ગ્રુપના ચેરમેન આદિલ ઝૈનુલભાઈ; ફાર્મઈઝીના વાઈસ ચેરમેન (મોડરેટર) સિદ્ધાર્થ શાહ; ભારતીય જનતા પાર્ટીના વિદેશ બાબતોના વિભાગના પ્રભારી વિજય ચોથાઈવાલે; અને નાલંદા યુનિવર્સિટીના VC સચિન ચતુર્વેદી તથા QCIના ચેરમેન અને જ્યોતના ટ્રસ્ટી જક્ષય શાહે વિચાર-વિમર્શ કર્યો હતો કે કેવી રીતે ‘વિશ્વ એક પરિવાર છે’ એ સિદ્ધાંત વધુને વધુ વિભાજિત થતી જતી દુનિયામાં શાસન, સામાજિક સુમેળ અને વૈશ્વિક સહયોગ માટે માર્ગદર્શક બની શકે છે.
વસુધૈવ કુટુમ્બકમ પ્રદર્શન આખો દિવસ ખુલ્લું રહ્યું હતું, જેમાં મુલાકાતીઓને પ્રાચીન ભારતીય જ્ઞાનમાંથી મેળવેલા 12 શાશ્વત સિદ્ધાંતોની પ્રસ્તુતિ દ્વારા આકર્ષિત કરતું રહ્યું. આ સિદ્ધાંતોને જટિલ આધુનિક પડકારોનો સામનો કરી રહેલા પરિવારો, સંસ્થાઓ અને સમાજ માટે વ્યવહારુ માર્ગદર્શિકા તરીકે રજૂ કરવામાં આવ્યા છે.
સાંજના કાર્યક્રમોમાં ટેકનોલોજી અને મીડિયા પર ક્યુરેટેડ પોડકાસ્ટ સત્રોનો સમાવેશ થતો હતો, જ્યાં ક્ષેત્રના નિષ્ણાતોએ તકનીકી પરિવર્તનની સામાજિક અસર, મીડિયાની જવાબદારી અને જાહેર ચર્ચાઓને ઘડતા ઉભરતા નેરેટિવ્સ વિશે ચર્ચા કરી હતી.
સાંજના લેસર શોએ વસુધૈવ કુટુમ્બકમના મુખ્ય વિષયોનું વિઝ્યુઅલ અર્થઘટન કર્યું હતું, જેમાં પ્રકાશ, ધ્વનિ અને વર્ણન દ્વારા પરિવાર, સમાજ અને વૈશ્વિક સંવાદિતાની પરસ્પર સંકલન જેવી બાબતોને આવરી લેવામાં આવી હતી. આ અનુભવે મોટી સંખ્યામાં ભાવકોને આકર્ષ્યા હતા.
અગાઉ દિવસ દરમિયાન, વિદ્યાર્થીઓ અને યુવા જૂથો દ્વારા શેરી નાટકોમાં સામાજિક પ્રસંગોની પ્રસ્તુતિ દ્વારા પ્રેક્ષકોને અવગત કરવામાં આવ્યા હતા- જેમાં મૂલ્યો, જવાબદારી, ન્યાય અને સામૂહિક સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સ્થળે ભજવવામાં આવેલા નાટકોએ વિવિધ વય જૂથોના મુલાકાતીઓ વચ્ચે સંવાદ અને ચિંતનને પ્રોત્સાહન આપ્યું હતું.
પસાર થતા દરેક દિવસ સાથે, વસુધૈવ કુટુમ્બકમ કી ઓર કોન્ક્લેવ સંવાદ માટેના એક ગંભીર પ્લેટફોર્મ તરીકે તેની સ્થિતિ મજબૂત કરી રહી છે જે ભારતીય સભ્યતાના જ્ઞાનને સમકાલીન વૈશ્વિક પ્રશ્નો સાથે જોડે છે.
શું તમે આ ભવ્ય કાર્યક્રમમાં સામેલ થવા માગો છો? તો આ રહી વિગતો…
સ્થળ: ઓગસ્ટ ક્રાંતિ મેદાન, મુંબઈ
તારીખ: 16–22 જાન્યુઆરી 2026
પ્રદર્શનનો સમય: સવારે 9.00 વાગ્યાથી સાજે 9.00 વાગ્યા સુધી
રજિસ્ટ્રેશન: નિઃશુલ્ક અને જાહેર જનતા માટે ખુલ્લું