News Continuous Bureau | Mumbai
Lok Adalat Surat :
- ૧,૦૧,૫૫૯ કેસોનો નિકાલ અને રૂ. ૯૬.૫૯ કરોડનું સેટલમેન્ટ કરાયું
- લોક અદાલત દ્વારા આજ સુધી કુલ ૩,૫૪,૯૯૭ કેસોનો સમાધાનથી નિકાલ
નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી, સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા- નવી દિલ્હીના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શનમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ-સુરત દ્વારા તા.૧૨ જુલાઈએ સુરત જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું. આજે યોજાયેલી લોકઅદાલતમાં કુલ ૧,૦૫,૫૫૪ કેસો રજૂ કરવામાં આવ્યા હતાં, જેમાંથી ૧,૦૧,૫૫૯ કેસોનો સમાધાનથી સફળ નિકાલ કરવામાં આવ્યો છે. આ તમામ કેસોમાં કુલ રૂ. ૯૬,૫૯,૧૮,૯૮૦ કરોડથી વધુની રકમનું સેટલમેન્ટ થયું છે. લોકઅદાલતમાં સૌથી વધુ કેસોનો નિકાલ કરવામાં સુરત જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જે એક નોંધપાત્ર સફળતા છે. ફોજદારી સમાધાનલાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ ૧૩૮ અન્વયેના કેસો, બેંક દાવાઓ, મોટર અકસ્માત દાવાઓ (MACT), શ્રમ સંબંધિત કેસો, વિજળી અને પાણી બિલ સંબંધિત વિવાદો, લગ્ન સંબંધિત તકરારો, તેમજ રેવન્યુ અને સિવિલ કેસોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.
જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશશ્રી રાહુલ એ. ત્રિવેદીના માર્ગદર્શનમાં લોકઅદાલતમાં ન્યાયાધીશો, વકીલો અને પક્ષકારોએ સમાધાન દ્વારા તકરાર નિકાલમાં સહભાગી થયા હતા. લોકઅદાલત દ્વારા આજ સુધી કુલ ૩,૫૪,૯૯૭ કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો છે. મુખ્ય જિલ્લા ન્યાયાધીશે આગામી લોકઅદાલતનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો છે, એમ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ અને સિનીયર સિવિલ જ્જ ડી.આર.જોષીની યાદીમાં જણાવાયું છે.
Lok Adalat Surat :લોકઅદાલતની મુખ્ય ઉપલબ્ધિઓઃ
1. N.I. Act કલમ ૧૩૮ ના ૩,૪૮૫ કેસોનો સમાધાનથી નિકાલ, રૂ. ૬૧.૬૮ કરોડનું સેટલમેન્ટ
2. ઈ-ચલણના ૨,૨૨,૭૯૫ કેસોનો નિકાલ, રૂ. ૧૫.૨૫ કરોડની વસૂલાત
3. પ્રિ-લિટિગેશનના ૩૦,૬૪૩ કેસો, રૂ. ૩.૬૨ કરોડના સેટલમેન્ટ સાથે ઉકેલ
4. MACPના એક કેસમાં રૂ. ૮૧ લાખના દાવાનો સમાધાનથી નિકાલ
5. ૧૦ વર્ષથી વધુ જુના ૧૭૪ સિવીલ અને ફોજદારી કેસોનો નિકાલ
6. નિર્ધારિત ૧,૭૬૧ ટાર્ગેટેડ કેસોમાંથી ૧૩૨ કેસોનો નિકાલ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.