News Continuous Bureau | Mumbai
- રોજગાર કચેરી-સુરત દ્વારા વર્ષ ૨૦૨૩માં જિલ્લાના ૨૨ હજારથી વધુ યુવાઓને રોજગારી મળી
- વર્ષ ૨૦૨૩માં ‘અનુબંધમ’ એપ પર સુરત ( Surat ) ના ૩,૧૭૫ નોકરીદાતા અને ૩૬,૬૩૦ રોજગારવાંચ્છુકોની સફળ ઓનલાઈન નોંધણી
સંયુક્ત રાષ્ટ્રસંઘના નિર્ણયાનુસાર ૧૯૮૫ના વર્ષને આતંરરાષ્ટ્રીય યુવા વર્ષ ઘોષિત કરવામાં આવ્યું હતું. જેને પગલે વર્ષ ૧૯૮૫ની ૧૨ જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીને ભારતમાં ‘રાષ્ટ્રીય યુવા દિન‘ તરીકે ઉજવાય છે.
દેશના હ્રદય સમાન યુવાધન ઉજ્જવળ ભવિષ્ય તરફ અગ્રેસર બને, કારકિર્દીની નવી તકો મેળવી શિક્ષિત અને સક્ષમ બને એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની જિલ્લા રોજગાર કચેરી-સુરત દ્વારા ગત વર્ષ ૨૦૨૩માં જિલ્લાના ૨૨ હજારથી વધુ યુવાઓને રોજગાર પ્રાપ્ત થયો છે. જેમાં રોજગાર કચેરી દ્વારા કરાતા વિવિધ ભરતી મેળાઓ તેમજ ઓનલાઈન પ્લેટફોર્મ થકી થયેલી નિમણૂકનો સમાવેશ થાય છે.
જિલ્લા રોજગાર કચેરી દ્વારા સમયાંતરે ઔદ્યોગિક/એપ્રેન્ટીસ ભરતીમેળા, શાળા અને કોલેજોમાં કારકિર્દી માર્ગદર્શન, કરિયર કોર્નર, સંરક્ષણ ભરતી માટેની નિવાસી તાલીમ, મોડલ કરિયર સેન્ટર તેમજ વિદેશ રોજગાર માટેની માહિતી અને માર્ગદર્શન સહિતની પ્રત્યક્ષ તાલીમ અને મેળાઓ યોજવામાં આવે છે. જેમાં ઉમેદવારોની નામ નોંધણી, દર ત્રણ વર્ષે નામ નોંધણી તાજી કરવી, યોગ્ય ઉમેદવારોની ભલામણ અને વિવિધ ભરતીમેળાઓ થકી રોજગારી આપવામાં આવે છે.
ઔદ્યોગિક એકમો તથા નોકરીદાતાઓને માનવબળ પૂરૂ પાડવા માટે રાજ્ય સરકારની ઓનલાઈન વ્યવસ્થા એટલે કે અનુબંધમ વેબ પોર્ટલ તથા મોબાઈલ એપ થકી ઓનલાઈન નોંધણી દ્વારા પણ રોજગારી આપવામાં આવે છે. આ પોર્ટલના કારણે રોજગાર વાંચ્છુંઓને મનગમતી નોકરી અને કુશળ માનવબળ મળી રહે છે. હાલ ‘અનુબંધમ’ એપ પર સુરત જિલ્લાના ૩૧૭૫ નોકરીદાતા અને ૩૬૬૩૦ રોજગારવાંચ્છુઓ સફળ ઑનલાઈન નોંધણી કરાવી કાર્યરત છે.
આ સમાચાર પણ વાંચો : Goa BJP Conflict: ગોવા ભાજપમાં આંતરિક વિખવાદ? આ ધારાસભ્યએ પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરને કહ્યા ભ્રષ્ટ, લગાવ્યા ગંભીર આરોપ..
અનુબંધમ ઓનલાઈન પોર્ટલ પર બંને પક્ષોની ઝડપી અને નિ:શુલ્ક નોંધણી, કામના પ્રકાર અનુસાર ઉમેદવારોનું ઓટોમેટેડ મેચમેકિંગ, કામ, ક્ષેત્ર, લાયકાત જેવા વિવિધ વિકલ્પોને આધિન વર્ગીકરણ જેવી સુવિધાઓ છે, જ્યારે યુવાનો માટે ઈન્ટરવ્યૂ શિડ્યુલ મેનેજમેન્ટ, ઓનલાઈન ઓફર લેટર, સ્કીલ તથા ખાલી જગ્યાને આધારે શોર્ટલિસ્ટીંગ અને ઉપલબ્ધ રોજગારીની તકો શોધવાની સરળતા રહેલી છે. ઉપરાંત, નોકરીદાતા માટે ખાલી જગ્યાની નોંધણી, લાયકાત મુજબ ઉમેદવારની પસંદગી અને ઓનલાઈન/ઓફલાઈન ઈન્ટરવ્યૂની સહુલિયત મળે છે.
આમ રાજ્ય સરકારના શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની જિલ્લા રોજગાર કચેરી ઉમેદવારો અને નોકરીદાતાઓ વચ્ચે સેતુરૂપ બની યુવાનો માટે રોજગારલક્ષી ઉત્કૃષ્ટ પ્રવૃત્તિઓ દ્વારા સુરત શહેર-જિલ્લાના યુવાનોને કારકિર્દીલક્ષી યોગ્ય અને ઉપયોગી માર્ગદર્શન તેમજ નોકરીની ઉત્તમ તકો આપવામાં મદદરૂપ નીવડે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
