News Continuous Bureau | Mumbai
ટાટા ગ્રૂપ સંચાલિત એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમનો કાર્યકાળ જુલાઈ 2027 સુધીનો હતો, પરંતુ તેમણે સમય મર્યાદા પહેલા જ પદ છોડવાનો નિર્ણય લીધો છે. વિલ્સન વર્ષ 2022 થી એર ઈન્ડિયા સમૂહ સાથે જોડાયેલા હતા અને તેમને સિંગાપોર એરલાઇન્સથી ખાસ એર ઈન્ડિયાના પુનરુદ્ધાર (Turnaround) માટે લાવવામાં આવ્યા હતા. હાલમાં તેઓ 6 મહિનાના નોટિસ પિરિયડ પર છે અને નવા સીઈઓની નિમણૂક સુધી કાર્યભાર સંભાળશે.
વિમાન દુર્ઘટના અને સુરક્ષા તપાસનું દબાણ
કેમ્પબેલ વિલ્સનનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે એર ઈન્ડિયા સુરક્ષાના ધોરણોને લઈને કડક તપાસનો સામનો કરી રહી છે. ગત વર્ષે 12 જૂને અમદાવાદથી લંડન જતી ફ્લાઈટના ટેકઓફ બાદ થયેલા ભીષણ અકસ્માતમાં 260 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ વિલ્સન સતત ટીકાકારોના નિશાના પર હતા. નિયમનકારી સંસ્થાઓએ પણ એરલાઇનને સુરક્ષામાં બેદરકારી બદલ ફટકાર લગાવી છે, જેમાં એરવર્ધીનેસ સર્ટિફિકેટ વગર વિમાન ઉડાડવાના ગંભીર આરોપો સામેલ છે.
આ સમાચાર પણ વાંચો :
એરલાઇન સામે અનેક આર્થિક અને ઓપરેશનલ પડકારો
એર ઈન્ડિયા હાલમાં અનેક પડકારોમાંથી પસાર થઈ રહી છે. એક તરફ એરલાઇન સતત નાણાકીય નુકસાન ભોગવી રહી છે, તો બીજી તરફ નવા વિમાનોની ડિલિવરીમાં થઈ રહેલો વિલંબ પણ મોટી સમસ્યા છે. ટાટા ગ્રૂપે એર ઈન્ડિયાને સરકારી માલિકીમાંથી પાછી લીધા બાદ તેને નફાકારક બનાવવાના જે લક્ષ્યો રાખ્યા હતા, તેની ગતિ ઘણી ધીમી રહી છે. આ તમામ પરિબળોને કારણે કેમ્પબેલ વિલ્સન પર દબાણ વધ્યું હોવાનું માનવામાં આવે છે.
નવા સીઈઓ માટે બોર્ડની શોધખોળ શરૂ
મીડિયા રિપોર્ટ મુજબ, એર ઈન્ડિયાના બોર્ડે હવે નવા સીઈઓની શોધ તેજ કરી દીધી છે. કંપની એવા નેતાની શોધમાં છે જે એરલાઇનને આ સંકટમાંથી બહાર લાવી શકે અને સુરક્ષા તેમજ સેવાની ગુણવત્તામાં સુધારો કરી શકે. કેમ્પબેલ વિલ્સનનો બેકગ્રાઉન્ડ સિંગાપોર એરલાઇન્સનો રહ્યો છે અને તેમની પાસે એવિએશન સેક્ટરનો બહોળો અનુભવ છે, પરંતુ એર ઈન્ડિયામાં તેમનો કાર્યકાળ વિવાદો અને પડકારોથી ભરેલો રહ્યો છે.
