News Continuous Bureau | Mumbai
Bijnor Watermelon Poisoning। ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાના શેરનગર નરૈકા ગામમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં તરબૂચ ખાધા બાદ એક જ પરિવારના ત્રણ સભ્યોની હાલત અચાનક બગડી ગઈ હતી. હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ ૨૨ વર્ષની યુવતી મુસ્કાને દમ તોડી દીધો હતો, જ્યારે તેના માતાપિતા હાલ હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો
ડો. જિયાઉલ રહેમાન બજારમાંથી તરબૂચ લાવ્યા હતા, જે તેમણે પત્ની અને પુત્રી મુસ્કાન સાથે મળીને ખાધું હતું. તરબૂચ ખાધાના થોડા જ સમયમાં ત્રણેયને ગભરામણ, ઉલટી અને પેટમાં સખત દુખાવો થવા લાગ્યો હતો. મુસ્કાનની હાલત ઝડપથી બગડતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ તે પહોંચે તે પહેલા જ તેનું મોત થયું હતું. મુસ્કાન ના લગ્ન તાજેતરમાં જ નક્કી થયો હતો, જેના કારણે ઘરમાં ખુશીનો માહોલ હતો, જે હવે માતમમાં ફેરવાઈ ગયો છે.
ફૂડ પોઈઝનિંગ કે ઝેરી કેમિકલ?
આરોગ્ય વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પ્રાથમિક આશંકા મુજબ, તરબૂચને જલ્દી પકવવા કે લાલ બતાવવા માટે તેમાં ઉપયોગમાં લેવાતા જોખમી રસાયણો અથવા જંતુનાશકો (Pesticides) ને કારણે ‘ફૂડ પોઈઝનિંગ’ થયું હોઈ શકે છે. પોલીસે મુસ્કાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતના સાચા કારણની ખબર પડશે.
ફળ ખરીદતી વખતે સાવધાની રાખવા અપીલ
નિષ્ણાતો અને આરોગ્ય અધિકારીઓએ જનતાને અપીલ કરી છે કે ઉનાળામાં ફળ ખરીદતી વખતે સાવધાની રાખવી. તરબૂચ ખાતા પહેલા તેને ઓછામાં ઓછા એક કલાક માટે પાણીમાં ડુબાડી રાખવા જોઈએ. વધુ પડતા ઘાટા લાલ અથવા ઈન્જેક્શનના નિશાનવાળા તરબૂચ ખરીદવાનું ટાળવું જોઈએ. અગાઉ મુંબઈમાં પણ આવી જ ઘટના બની હતી, જેમાં તરબૂચ ખાધા બાદ આખા પરિવારની તબિયત બગડી હતી.
👉 આ સમાચાર વાચો:
Middle East Crisis। મિડલ ઈસ્ટમાં ફરી મહાયુદ્ધના ભણકારા! ઈરાનનો UAE પર મિસાઈલ અને ડ્રોનથી ભયાનક હુમલો, ૩૦ દિવસની શાંતિનો આવ્યો અંત
