News Continuous Bureau | Mumbai
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે ભારતીય એલપીજી (LPG) ટેન્કર ‘પાઈન ગેસ’ (Pine Gas) એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરવામાં જે સાહસ બતાવ્યું છે તે અત્યારે ચર્ચાનો વિષય બન્યું છે. સમુદ્રમાં બિછાવેલી માઈન્સ અને સતત થતા હુમલાઓ વચ્ચે આ ટેન્કરે ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અને ભારતીય નૌસેનાની મદદથી એક અનોખો રસ્તો શોધી કાઢ્યો અને 45 હજાર મેટ્રિક ટન ગેસ સાથે સુરક્ષિત રીતે ભારત પહોંચવામાં સફળતા મેળવી છે.
સામાન્ય રસ્તો બંધ હોવાથી લારક ટાપુનો ગુપ્ત માર્ગ પસંદ કર્યો
27 ફેબ્રુઆરી 2026 ના રોજ યુદ્ધ શરૂ થતા જ હોર્મુઝની સામુદ્રધુની બંધ કરી દેવામાં આવી હતી. ઈરાને આખા વિસ્તારમાં માઈન્સ બિછાવી દીધી હોવાથી સામાન્ય જહાજો માટે રસ્તો અત્યંત જોખમી હતો. આવી સ્થિતિમાં IRGC એ ભારતીય ટેન્કરને લારક ટાપુના ઉત્તરમાં આવેલા એક સાંકડા અને અનોખા ચેનલ પરથી પસાર થવાની મંજૂરી આપી હતી. આ રૂટ સામાન્ય રીતે કોઈ જહાજ વાપરતું નથી, પરંતુ માઈન્સથી બચવા માટે આ સૌથી સુરક્ષિત વિકલ્પ હતો. મુંબઈની સેવન આઈલેન્ડ્સ શિપિંગ કંપની અને 27 ભારતીય ક્રૂ મેમ્બર્સે એકમતે આ જોખમી માર્ગે આગળ વધવાનો નિર્ણય લીધો હતો.
આ સમાચાર પણ વાંચો : Iran Threats US Tech Companies: ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો: 18 ટેક જાયન્ટ્સને મળી ધમકી, હજારો કર્મચારીઓના જીવ જોખમમાં
ભારતીય નૌસેનાનું 20 કલાકનું અભેદ્ય સુરક્ષા કવચ
ચીફ ઓફિસર સોહન લાલના જણાવ્યા અનુસાર, ઈરાની સેનાએ ટેન્કર પર કોઈ બોર્ડિંગ કર્યું નહોતું કે કોઈ ફી પણ લીધી નહોતી. જેવું ટેન્કર હોર્મુઝ પાર કરીને ઓમાનની ખાડીમાં પહોંચ્યું, ત્યાં ભારતીય નૌસેનાના ચાર યુદ્ધ જહાજોએ તેને ઘેરી લીધું હતું. નૌસેનાએ સતત 20 કલાક સુધી એસ્કોર્ટ (Escort) કરીને ટેન્કરને અરબ સાગર સુધી સુરક્ષિત પહોંચાડ્યું હતું. આ ઓપરેશન ભારતની કૂટનીતિક અને સૈન્ય શક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. વિદેશ મંત્રાલય મુજબ હજુ પણ 18 ભારતીય જહાજો ખાડીમાં ફસાયેલા છે, જેમને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.
ઘરના રસોડા સુધી ગેસ પહોંચાડવા રૂટ બદલાયો
પાઈન ગેસ ટેન્કર વાસ્તવમાં મેંગલોર પોર્ટ પર ગેસ ઉતારવાનું હતું, પરંતુ દેશમાં વધતા ગેસ સંકટને પહોંચી વળવા માટે સરકારે તેને વિશાખાપટ્ટનમ અને હલ્દિયા પોર્ટ પર જથ્થો ઉતારવા નિર્દેશ આપ્યો હતો. ભારત તેની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે, તેથી આવા ટેન્કરોનું સુરક્ષિત આગમન કરોડો ભારતીયોના રસોડા માટે અનિવાર્ય છે. ભારત સરકાર અત્યારે ચીન, રશિયા અને ઈરાન સાથે સતત વાતચીત કરી રહી છે જેથી બાકીના જહાજોને પણ વિશેષ પરવાનગી હેઠળ સુરક્ષિત બહાર કાઢી શકાય.
