News Continuous Bureau | Mumbai
-D.K.
એરંડાનાં કુલ વૈશ્વિક ઉત્પાદનમાં ૮૦ ટકા જેટલો હિસ્સો ભારતનો હોવાછતાં અને ભારતના કુલ ઉત્પાદનમાં ૮૫ ટકાથી વધારે હિસ્સો ગુજરાત અને રાજસ્થાનનો હોવાછતાં એરંડાના વૈશ્વિક કારોબારમાં હાલમાં ચીન બહુ મહત્વની ભુમિકા ભજવી રહ્યું છે. વર્ષ ૨૦૨૬ નાં પ્રથમ બે મહિનામાં એટલે કે જાન્યુઆરી-૨૬માં અને ફેબ્રુઆરી-૨૦૨૬ માં ભારતે આશરે ૧.૨૦ લાખ ટન દિવેલ નિકાસ કર્યુ હોવાના વેપારીઓના પ્રાથમિક અંદાજ છે જેમાં આશરે ૫૦ ટકા હિસ્સો ચીનનો હોવાની ધારણા છે. ભારતીય નિકાસકારોને મળેલી માહિતી પ્રમાણે ચીન ઔદ્યોગિક વપરાશ માટે આટલી મોટી ખરીદી કરી રહ્યું છે. સ્વાભાવિક રીતે જ આટલી મોટી આયાત હોવાથી ચીન ભાવ નક્કી કરવામાં તાકાત ધરાવે છે. જો કે સ્થાનિક બજાર તો ઉંચા પાક અને માંગ કરતા વધારે પુરવઠાનાં અંદાજો વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી ઘટાડા તરફ આગળ વધી રહ્યું છે.
એનસીડેક્સનાં વાયદાનો ગ્રાફ આ અંગેના સ્પષ્ટ સંકેત આપે છે. ડિસેમ્બર ૨૦૨૫ ના પ્રથમ સપ્તાહમાં ભાવ ૭૧૩૬ રૂપિયા હતા જે જાન્યુઆરી ૨૦૨૬ નાં પ્રથમ સપ્તાહમાં ૬૭૦૦ રૂપિયાની સપાટીએ હતા અને ફેબ્રુઆરી ૨૦૨૬ નાં અંતે ૬૨૭૨ રૂપિયા હતા. ત્રણ મહિનામાં આશરે ૧૫ ટકાનો ભાવ ઘટાડો જોવા મળ્યો છે. વળી હજુ નવી સિઝન તો આવતા મહિને શરૂ થવાની છે. મતલબ કે બજારને આગામી દિવસોમાં હજુ વધારે ઘટાડાની ચિંતા છે. એટલે જ ગુજરાતમાં વિતેલા સપ્તાહમાં સરેરાશ દૈનિક એ લાખ બોરીની અને રાજસ્થાનમાં સરેરાશ દૈનિક ૨૫૦૦૦ બોરી એરંડાની આવકો નોંધાઇ હતી. આમ જુના એરંડાનો સ્ટોક પુરો કરવા માટે આવકો વધી રહી હોવાથી પણ ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
વ્યવસાયિક સર્વેના આંકડા જણાવે છે કે આ વખતે દેશમાં આશરે ૧૮.૩૦ લાખ ટન એરંડાનું ઉત્પાદન થશે જે ગત વર્ષે થયેલા ૧૬.૧૯ લાખ ટનનાં ઉત્પાદન કરતા આશરે ૧૨.૫૦ ટકા વધારે રહેશે. ગુજરાતમાં ગત વર્ષે ૧૧.૮૩ લાખ ટન એરંડાનું ઉત્પાદન થયું હતું જે આ વખતે આશરે ૧૦ ટકા જેટલા વધારા સાથે ૧૩ લાખ ટને પહોંચવાની ધારણા છે જ્યારે રાજસ્થાનમાં ગત વર્ષના ૩.૪૭ લાખ ટનના ઉત્પાદનની તુલના એ આ વર્ષે ૧૨.૫૦ ટકાના વધારા સાથે ૩.૯૧ લાખ ટનની નિપજ આવશે. આજરીતે આંધ્રપ્રદેશ તથા તેલંગણામાં મળીને આશરે ૮૪૦૦૦ ટન એરંડાનો પાક થશે જે ગત વર્ષનાં ૫૩૦૦૦ ટનનાં ઉત્પાદન કરતા ૫૮ ટકા જેટલો વધારે રહેવાની ધારણા છે. સિઝનનો ઓપનીંગ સ્ટોક આશરે ૨.૧૦ લાખ ટનનો રહેશે જે ગત વર્ષે ૩.૫૦ લાખ ટનનો હતો. આમ વર્ષ દરમિયાન કુલ ૨૦.૩૨ લાખ ટન એરંડા ઉપલબ્ધ થશે જે ગત વર્ષની સરખામણીઐ થોડા વધારે છે.
ગત વર્ષે સ્થાનિક મિલોએ ૧૮.૮૨ લાખ ટન એરંડાનુ ક્રશિંગ કર્યુ હતું જે આ વખતે વધીને ૧૯.૦૫ લાખ ટન થવાની સંભાવના છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૫ માં ભારતે ૬.૬૪ લાખ ટન દિવેલની નિકાસ કરી હોવાનો અંદાજ છે જેમાં આશરે ૧૪ લાખ ટન એરંડાનું ક્રશિંગ થયુ છે. જયારે વર્ષ-૨૦૨૬ માં ભારત ૬.૫૦ લાખ ટન દિવેલની નિકાસ કરે તો ૧૩.૮૦ લાખ ટન એરંડાનું ક્રશિંગ થશે. નિકાસ માટેનાં એરંડાનાં ક્રશિંગમાં ખોળની માંગ અને તેના આધારે પિલાણની પેરીટીની પણ ગણતરી કરવાની હોય છે. હવે જો નવી સિઝનમાં ચીનની ખરીદી ઓછી રહે તો નિકાસકારોની ખરીદી ઘટી શકે. આવા સંજોગોમાં ભાવ ઘટાડવા સિવાય કોઇ વિકલ્પ રહેતો નથી. ઘટતા ભાવે નિકાસના વેપાર ઘણા જોખમી હોય છે તેથી વેપારીઓઐ વાયદામાં હેજીંગ સાથે વેપાર કરવા જોઇએ. હાલમાં એનસીડેક્સના વાયદામાં સરેરાશ દૈનિક ૩૫ કરોડ રૂપિયાનાં વોલ્યુમ અને ૨૯૫૦૦ ટનનાં ઓપન ઇન્ટરેસ્ટ છે. આમ તો કોમોડિટીનાં બજાર માગ અને પુરવઠાનાં સિધ્ધાંતો ઉપર ચાલતાં હોય છે પરંતુ એરંડા જેવી કોમોડિટી લાંબો સમય સુધી ખરાબ થતી ન હોવાથી ખેડૂતો અને વેપારીઓ અમુક ભાવથી નીચા ભાવ થાય તો લાંબા સમય માટે સ્ટોક કરી લેતા હોય છે. વખતે પણ આવું થવાની સંભાવના છે.
