News Continuous Bureau | Mumbai
પશ્ચિમ બંગાળના રાજકારણના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય રેલ મંત્રી મુકુલ રોયનું સોમવારે વહેલી સવારે નિધન થયું છે. 71 વર્ષીય રોય લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા. કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાત્રે 1:30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સ્થાપક સભ્યોમાંના એક એવા મુકુલ રોય મુખ્યમંત્રી મમતા બેનર્જીના સૌથી વિશ્વાસુ સાથી માનવામાં આવતા હતા. મુકુલ રોયના પુત્ર શુભ્રાંશુ રોયે તેમના નિધનની પુષ્ટિ કરી છે. મુકુલ રોયે પોતાના રાજકીય કરિયરની શરૂઆત યુથ કોંગ્રેસથી કરી હતી, પરંતુ TMC ની સ્થાપના બાદ તેઓ પાર્ટીનો રાષ્ટ્રીય ચહેરો બનીને ઉભર્યા હતા. તેઓ વર્ષ 2006માં રાજ્યસભાના સભ્ય બન્યા હતા અને 2012માં દેશના રેલ મંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી. બંગાળના રાજકારણમાં તેમને વ્યૂહરચનાકાર અને ‘ચાણક્ય’ તરીકે ઓળખવામાં આવતા હતા.
TMC અને BJP વચ્ચેની રાજકીય સફર
મુકુલ રોયની રાજકીય સફર ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. નવેમ્બર 2017માં તેમણે મમતા બેનર્જી સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈને સૌને ચોંકાવી દીધા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં બંગાળમાં ભાજપની 18 બેઠકોની જીતનો શ્રેય પણ રોયને આપવામાં આવે છે. જોકે, 2021ની વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ તેઓ ફરીથી TMC માં પરત ફર્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Budget Session 2026: વિપક્ષી નેતાની ખુરશી ખાલી અને શરૂ થયું બજેટ સત્ર! મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક; શું સરકાર સામે અવાજ ઉઠાવી શકશે વિપક્ષ?
પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ થયા હતા અયોગ્ય જાહેર
તાજેતરમાં જ 13 નવેમ્બર 2025 ના રોજ કલકત્તા હાઈકોર્ટે મુકુલ રોયને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ અયોગ્ય ધારાસભ્ય જાહેર કર્યા હતા. તેમનું સ્વાસ્થ્ય છેલ્લા ઘણા સમયથી નબળું હોવાથી તેઓ સક્રિય રાજકારણથી દૂર હતા. તેમના નિધન પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.
સંગઠન ક્ષેત્રે મેળવી હતી મોટી સિદ્ધિ
મુકુલ રોય સંગઠન શક્તિમાં માહેર હતા. TMC જ્યારે સત્તામાં નહોતી ત્યારે અને સત્તામાં આવ્યા બાદ પણ તેમણે પાયાના સ્તરે પક્ષને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વિરોધ પક્ષના નેતાઓને પોતાની તરફ ખેંચવામાં તેમની કુશળતા અજોડ હતી. બંગાળના રાજકારણમાં તેમના જવાથી એક યુગનો અંત આવ્યો છે તેમ કહેવામાં આવી રહ્યું છે.
