News Continuous Bureau | Mumbai
ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર નું માળખું નક્કી થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને બંને દેશો માટે અત્યંત સારા સમાચાર ગણાવ્યા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, આ ફ્રેમવર્ક બંને મહાન રાષ્ટ્રો વચ્ચે વધતા પરસ્પર વિશ્વાસ અને ભાગીદારીની ઊંડાઈ દર્શાવે છે.પીએમ મોદીએ આ ઐતિહાસિક પગલા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વ્યક્તિગત પ્રતિબદ્ધતા અને મજબૂત સંબંધો પ્રત્યેના તેમના ઝુકાવનો આભાર વ્યક્ત કર્યો છે. વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ કરારથી ભારતની અર્થવ્યવસ્થાને ગ્લોબલ લેવલ પર નવી ઓળખ મળશે.
મેક ઇન ઇન્ડિયા અને રોજગારી પર ભાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-અમેરિકા વચ્ચેના આ ઐતિહાસિક કરારના દૂરોગામી ફાયદાઓ ગણાવતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ ડીલથી ભારતના મહેનતુ ખેડૂતો, ઉદ્યોગસાહસિકો, MSMEs, સ્ટાર્ટઅપ ઇનોવેટર્સ અને માછીમારો માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે. પીએમ મોદીએ ખાસ ભાર મૂક્યો હતો કે નિકાસમાં થનારા સંભવિત વધારાને પરિણામે દેશમાં મહિલાઓ અને યુવાનો માટે મોટા પાયે રોજગારીની તકો સર્જાશે. વધુમાં, આ નવું વ્યાપારી માળખું વૈશ્વિક સ્તરે એક ભરોસાપાત્ર સપ્લાય ચેઈનને મજબૂત બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે, જે માત્ર ભારત અને અમેરિકા માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપશે.
આ સમાચાર પણ વાંચો : India-US Trade Deal: ખેતીથી વેપાર સુધી… અમેરિકા સાથેની ટ્રેડ ડીલથી ભારતને શું થયો ફાયદો? સમજો આખું ગણિત.
ટેકનોલોજી અને રોકાણમાં વધારો
વડાપ્રધાને ઉમેર્યું કે ભારત અને યુએસ ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે. આ ડીલથી બંને દેશો વચ્ચે રોકાણ અને ટેકનોલોજી પાર્ટનરશિપ વધુ ઊંડી બનશે. “જેમ ભારત ‘વિકસિત ભારત’ તરફ આગળ વધી રહ્યું છે, અમે એવી ગ્લોબલ પાર્ટનરશિપ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ જે ભવિષ્યલક્ષી હોય અને લોકોની સમૃદ્ધિમાં યોગદાન આપે,” તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું.
ટ્રેડ ડીલની મુખ્ય હાઈલાઈટ્સ
નોંધનીય છે કે આ કરાર હેઠળ:
અમેરિકા ભારતીય વસ્તુઓ પરનો ટેરિફ ઘટાડીને 18 ટકા કરશે.
આ સમજૂતી 13 ફેબ્રુઆરી, 2025 ના રોજ શરૂ થયેલી દ્વિપક્ષીય વાટાઘાટોનું પરિણામ છે.
તે પરસ્પર હિતો અને સંતુલિત વેપાર પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
