News Continuous Bureau | Mumbai
કર્ણાટકના બેંગલુરુ માં આજે સવારે એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. હોસકોટેના બહારના વિસ્તારમાં આવેલા નેશનલ હાઈવે પર એક કાર, બાઇક અને કેન્ટર વાહન વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 7 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. આ અકસ્માત એટલો ભીષણ હતો કે વાહનોના ફુરચા ઉડી ગયા હતા અને હાઈવે પર લાશના ઢગલા જોવા મળ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના એમ. સત્યવારા ગામ પાસે બની હતી. જ્યારે હોસકોટેથી દેવનહલ્લી તરફ જઈ રહેલી એક તેજ રફ્તાર કારે પહેલા એક બાઇકને પાછળથી ટક્કર મારી હતી. આ ટક્કર બાદ કાર ચાલકે વાહન પરથી પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું હતું અને કાર સામેથી આવતા એક કેન્ટર વાહન સાથે અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં અન્ય એક કાર પણ લપેટમાં આવી ગઈ હતી.
ઓવરસ્પીડિંગ બની મોતનું કારણ
પ્રાથમિક તપાસમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે અકસ્માત પાછળનું મુખ્ય કારણ વાહનની અતિશય ઝડપ એટલે કે ઓવરસ્પીડિંગ હતું. કારમાં સવાર 6 લોકો અને એક બાઇક સવારનું સ્થળ પર જ મોત થયું હતું. મૃત્યુ પામેલા 6 લોકો કોથનૂર વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, જોકે તેમની ઓળખ કરવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે.
આ સમાચાર પણ વાંચો : AI Summit 2026: ભારત બનશે વિશ્વનું ‘AI હબ’! ભારત મંડપમમાં પિચાઈ અને ઓલ્ટમેન સાથે PM મોદીની ખાસ બેઠક, જાણો કેવી રીતે બદલાશે આપણી દુનિયા.
પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ
અકસ્માતની જાણ થતા જ હોસકોટે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસકોટેની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતકોના પરિવારજનોને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે કે શું ડ્રાઈવર નશાની હાલતમાં હતો કે ગાડીમાં કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી.
હાઈવે પર ટ્રાફિક જામ અને સુરક્ષા વ્યવસ્થા
આ ભયાનક અકસ્માતને કારણે નેશનલ હાઈવેપર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ક્રેઈનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવવામાં આવ્યા હતા જેથી વાહનવ્યવહાર ફરી શરૂ કરી શકાય. સ્થાનિક રહેવાસીઓએ હાઈવે પર વધતા અકસ્માતોને રોકવા માટે સ્પીડ બ્રેકર અને કડક ટ્રાફિક પેટ્રોલિંગની માંગ કરી છે. પોલીસે વાહનચાલકોને અપીલ કરી છે કે હાઈવે પર વાહનની ગતિ મર્યાદામાં રાખે અને સુરક્ષાના નિયમોનું પાલન કરે.
