News Continuous Bureau | Mumbai
Jag Vikram ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની સીધી અસર ભારત પર જોવા મળી રહી હતી, ખાસ કરીને હોર્મુઝની ખાડી બંધ થવાને કારણે ભારતમાં LPG ગેસની મોટી અછત સર્જાઈ હતી. જોકે, હવે ભારત માટે અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. યુદ્ધવિરામ અને તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારતનું જહાજ ‘જગ વિક્રમ’ હોર્મુઝની ખાડી સુરક્ષિત રીતે પાર કરીને ભારતમાં દાખલ થઈ ગયું છે.
‘જગ વિક્રમ’ જહાજ 20,000 મેટ્રિક ટન LPG લઈને કંડલા પહોંચ્યું
પ્રાપ્ત વિગતો અનુસાર, ભારતનું માલવાહક જહાજ ‘જગ વિક્રમ’ બુધવારે સવારે ગુજરાતના કંડલા બંદરે આવી પહોંચ્યું છે. આ જહાજમાં 20,000 મેટ્રિક ટન LPG ગેસનો જથ્થો છે. બે અઠવાડિયાના યુદ્ધવિરામ બાદ હોર્મુઝની ખાડી પાર કરનારું આ ભારતનું પ્રથમ જહાજ છે. આ જહાજ શુક્રવાર રાતથી શનિવાર સવાર દરમિયાન આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પરથી પસાર થયું હતું અને શનિવારે બપોરે ઓમાનની ખાડીમાં પ્રવેશ્યું હતું. ભારત માટે આ એક મોટી રાહત છે કારણ કે દેશમાં ગેસનો પુરવઠો ખોરવાયો હતો.
હોર્મુઝમાં હજુ પણ ભારતના 15 જહાજો લાઈનમાં
રિપોર્ટ મુજબ, ‘જગ વિક્રમ’ પસાર થયા બાદ હજુ પણ ભારતના અંદાજે 15 જેટલા જહાજો હોર્મુઝની ખાડીમાંથી બહાર નીકળવાની રાહ જોઈ રહ્યા છે. આ તમામ જહાજો પર ભારતીય ધ્વજ લાગેલો છે. છેલ્લા 24 કલાકમાં હોર્મુઝની ખાડીમાંથી કુલ 20 જહાજો પસાર થયા હોવાની માહિતી છે. ઈસ્લામાબાદમાં થયેલી શાંતિ વાર્તા નિષ્ફળ રહ્યા બાદ અમેરિકાએ આ વિસ્તારમાં કડક નાકાબંધી કરી હતી, તેમ છતાં ભારતનું જહાજ સુરક્ષિત રીતે નીકળવામાં સફળ રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Stock Market Live: શેરબજારમાં રોકાણકારોની લાગી લોટરી! સેન્સેક્સ 78,000 ની ઐતિહાસિક સપાટીએ, સંપત્તિમાં જંગી વધારો.
ઈરાન-અમેરિકા યુદ્ધ અને ભારત પર તેની અસર
ફેબ્રુઆરીના અંતમાં ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ સ્થિતિ વણસી હતી. ઈરાને હોર્મુઝની ખાડી બંધ કરી દેતા વૈશ્વિક બજારમાં તેલ અને ગેસના ભાવ આસમાને પહોંચ્યા હતા. ભારતના અનેક જહાજો ત્યાં ફસાઈ પડ્યા હતા. જોકે, ઈરાન સાથેના સારા સંબંધોને કારણે ભારતના કેટલાક જહાજોને મુક્તિ મળી છે. ‘જગ વિક્રમ’ ના આગમનથી ભારતમાં LPG ની અછતને પહોંચી વળવામાં મોટી મદદ મળશે.
