News Continuous Bureau | Mumbai
-D.K.
વર્લ્ડ કપ રમવા આવેલી ઇટાલી, નામિબિયા તથા અમેરિકા જેવી ટીમના ખેલાડીઓમાં મેચ જીતવા માટેનો ઉત્સાહ વધારે હોય છે પણ આવડત અને આત્મવિશ્વાસ ઓછો હોય છૈ. આજ કારણથી તેઓ પોતે ધારેલા પણામ મેળવી શકતા નથી. હાલમાં જીરાનાં કારોબારીઓની પણ આવી જ સ્થિતી છે. સૌ મોટાપાયે નિકાસ અને તેજીના ઉત્સાહમાં છે પરંતુ બજારની સ્થિતી તેમને આત્મવિશ્વાસ આપતી નથી. પરિણામે થોડા સમયે તેજીના ઉછાળા જોવા મળે છે પરંતુ તેજી લાંબો સમય ટકતી નથી. એનસીડેક્સના ભાવનો ચાર્ટ જોઇએતો જણાય છે કે ૨૨ મી જાન્યુઆરી-૨૦૨૬ નાં રોજ ક્વિન્ટલ દિઠ જીરાનાં ભાવ ૨૫૧૩૦ રૂપિયાની ટોચે હતા જે ૧૭ મી ફેબ્રુઆરી-૨૦૨૬ નાં રોજ ઘટીને ૨૧૮૨૫ ની સપાટી દેખાડતા હતા. આ રેન્જથી પાછી ખરીદી નીકળતા ભાવ થોડા ઉંચકાઇને ૨૨૮૮૦ ના સ્તરે પહોંચ્યા હતા.
વિતેલા સપ્તાહમાં જયપુરમાં યોજાયેલી ગ્લોબલ સ્પાઇસ કોન્ફરન્સમાં નિષ્ણાંતોએ આપેલા અંદાજ એવા સંકેત આપે છે કે ગુજરાતમાં આ વખતે પાકમાં ૨૫ થી ૩૦ ટકાનો ઘટાડો થશે જાન્યુઆરી મહિનાનાં અંતે ગુજરાત સરકારે આપેલા આંકડા પ્રમાણે રાજ્યમાં ૪.૦૭ લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું છે જે ગત વર્ષે ૪.૭૬ લાખ હેક્ટરમાં નોંધાયુ હતું. જ્યારે રાજસ્થાનમાં ૧૦ થી ૧૫ ટકા ઘટાડો થવાની સંભાવના છે. દેશમાં કુલ મળીને ૮૦ થી ૯૦ લાખ બોરી જીરાનું ઉત્પાદન થવાનો અંદાજ મુકાયો છે. આ સાથે આશરે ૨૦ લાખ બોરીનો કેરી ફોરવર્ડ સ્ટોક રહેશે. જો કે હજુ જોઇએ તેવી નિકાસની ખરીદી નીકળતી નથી, રમજાન મહિનો શરૂ થઇ ગયો પરંતુ સિઝનમાં એવો ચમકારો દેખાયો નથી. સ્થાનિક બજારોમાં વેપારીઓ નવા પાકની રાહમાં છે તો અખાતી દેશોમાં જાન્યુઆરી મહિનામાં થોડી નિકાસની પુછપરછ આવી ત્યારબાદ ઘરાકી નથી. ચીનની ખરીદી નીચા ભાવે નીકળે છે પરંતુ જેવા ભાવ ૨૨૫૦૦ રૂપિયાની સપાટી વટાવે એટલે ખરીદી અટકી જાય છે. એમાં વળી જોધપુર તથા હડૌતી પટ્ટામાં માવઠાનાં અહેવાલ છે. આગામી દિવસોમાં ફરી વરસાદ થાય તો પાકને નુકસાન પણ થઇ શકે છે. જો વરસાદ થશે તો જીરામાં ભેજ પણ વધશે જેનાથી ગુણવત્તા પણ નબળી પડી શકે છે.
નિષણાંતોના અનુમાન પ્રમાણે જીરાની સ્થાનિક માંગ ૯૦ લાખ થી ૯૫ લાખ બોરી રહેવાની ધારણા છે. જેની સામે પુરવઠો એટલો જ કે તેનાથી થોડો વધારે રહેવાનું અનુમાન છે. બજારમાં છેલ્લા ત્રણ કે ચાર દાયકાથી કારોબાર કરી રહેલા વેપારીઓ પણ આ વખતે સિઝન દરમિયાન ભાવની રેન્જ આપવામાં ખચકાય છે. વળી ત્રણ વર્ષ પહેલા ૩૦૦૦૦ રૂપિયાની મહત્તમ રેન્જ આપનારા નિષ્ણાંતોને ૬૦,૦૦૦ રૂપિયાનાં ભાવમાં જીરૂ ખરીદવું પડ્યું હતું. વળી આજ જીરાના ભાવ બીજી સિઝનમાં ૨૦૦૦૦ રૂપિયાથી નીચે ગયા હતા.
હવે જો નિકાસકારો અને વેપારીઓ ભાવની દિશા નક્કી કરવામાં થાપ ખાઇ જતા હોય તો ખેડૂતોએ વધારે જોખમ લેવાને બદલે એનસીડેક્સ ઉપર પુટ ઓપ્શન ખરીદીને જોખમ ઓછું કરી નાખવું જોઇએ. આંકડા જોઇએ તો માર્ચ કે અપ્રિલ મહિનામાં ડીલીવરી માટેના ઓપ્શનમાં ખેડૂતો ૨૦૦ રૂપિયા પ્રિમિયમ સાથે તેમના જીરાનો ભાવ ૨૧૬૦૦ બુક કરીને નિશ્ચિંત થઇ શકે છે. હાલમાં જીરાના ઓપ્શન્સમાં પણ ૩૩૦ ક્વિન્ટલના ઓપન ઇન્ટરેસ્ટથી સાબિત થાય છે કે હવે ખેડૂતો ઓપ્શનનો લાભ લેતા થયા છે.યદામાં સરેરાશ દૈનિક ૬૦ કરોડ રૂપિયાના કારોબાર થાય છૈ જ્યારે ઓપન ઇન્ટરેસ્ટ ૫૭૦૦ ક્વિન્ટલના છે.
ભારતે વર્ષ ૨૦૨૩-૨૪ માં ૧૬૫૨૫૮ ટન જીરાની નિકાસ કરી હતી જે વર્ષ ૨૦૨૪-૨૫ માં વધીને ૨૨૯૮૯૮ ટનની નોંધાઇ હતી. ઓક્ટોબર-૨૦૨૫ માં ૧૬૯૭૨ ટનની નિકાસ થઇ હોવાના અહેવાલ છે. હવે માવઠાના દિવસો પુરા થયા પછી હોળીના તહેવારો બાદ સ્થાનિક ઘરાકી કેવી રહે છે તેના ઉપર બજાર વેપારીઓની નજર રહેશૈ
