News Continuous Bureau | Mumbai
NCERT New Social Science Textbook Class 9 રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT) દ્વારા ધોરણ૯ ના સામાજ વિજ્ઞાનના અભ્યાસક્રમમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા છે. આ નવા ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ભારતીય જ્ઞાન પરંપરા, લોકતાંત્રિક મૂલ્યો અને સમકાલીન સામાજિક વિષયો સાથે જોડવાનો છે. એનસીઈઆરટી દ્વારા ગુરુવારે સામાજિક વિજ્ઞાનનું નવું પાઠ્યપુસ્તક ‘અંડરસ્ટેન્ડિંગ સોસાયટી ઇન્ડિયા એન્ડ બિયોન્ડ પાર્ટ૧’ લોન્ચ કરવામાં આવશે, જેમાં પ્રથમ વખત વિદ્યાર્થીઓને ચારેય વેદ અને દેશની ઐતિહાસિક કટોકટી (ઇમરજન્સી) વિશે વિગતવાર ભણાવવામાં આવશે.
NCERT New Social Science Textbook Class 9 – ભારતીય સંસ્કૃતિના આધારભૂત ચારેય વેદ અને પંચમહાભૂતની કલ્પના સમજી શકશે વિદ્યાર્થીઓ
શૈક્ષણિક અહેવાલ મુજબ, આ નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-૯ ના વિદ્યાર્થીઓ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિના સૌથી પ્રાચીન ગ્રંથો એવા ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અજર્વવેદનો અભ્યાસ કરશે. આ વેદોમાં સમાયેલું ધર્મ, તત્વજ્ઞાન, સંગીત અને જીવન મૂલ્યોનું જ્ઞાન બાળકોને પીરસવામાં આવશે. આ ઉપરાંત, પ્રકરણ-૧ માં ભારતીય જ્ઞાન પરંપરાને દૈનિક જીવનના ઉદાહરણો સાથે સાંકળવામાં આવી છે, જેનાથી વિદ્યાર્થીઓ પંચમહાભૂત (પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ) ની વિભાવના સમજી શકશે કે પ્રકૃતિ અને માનવ જીવન એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. આ સત્રના મધ્યમાંથી એટલે કે જુલાઈ મહિનાથી ધોરણ-૯ માં ત્રણ ભાષાઓનો અભ્યાસ પણ ફરજિયાત કરી દેવાયો છે.
NCERT New Social Science Textbook Class 9 – ભારતીય લોકશાહીનો વિવાદાસ્પદ દોર ‘ઇમરજન્સી’ અને પંજાબ પૂરની કેસ સ્ટડી સામેલ
નવા અભ્યાસક્રમમાં ભારતીય લોકશાહીના સૌથી કાળા અને વિવાદાસ્પદ પ્રકરણ ગણાતી ‘ઇમરજન્સી’ (આપાતકાલ) નો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પહેલા માત્ર ધોરણ ૧૧ અને ૧૨ ના રાજ્યશાસ્ત્રના પુસ્તકમાં જ ભણાવવામાં આવતો હતો. ૨૫ જૂન, ૧૯૭૫ ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની સલાહ પર દેશમાં કટોકટી લાદવામાં આવી હતી, જેમાં હજારો લોકોને જેલમાં પૂરી દેવાયા હતા અને અખબારો પર સેન્સરશીપ લાદવામાં આવી હતી. આ સાથે જ આપત્તિ વ્યવસ્થાપન (Disaster Management) અંતર્ગત હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના ભૂસ્ખલનની સાથે-સાથે વર્ષ ૨૦૨૫ માં પંજાબમાં આવેલા ભયાનક પૂરની કેસ સ્ટડી પણ સામેલ કરાઈ છે. આ કેસ સ્ટડીમાં બતાવાયું છે કે સતલુજ, વ્યાસ અને રાવી નદીના પૂરે કેવી રીતે પાકિસ્તાન સરહદે મોટી તબાહી મચાવી હતી.
NCERT New Social Science Textbook Class 9 – પ્રથમ વખત માતૃભાષામાં વર્કશીટ તૈયાર કરાશે અને મહિલા અનામતના પ્રકરણને સ્થાન મળશે
બહુભાષાવાદને પ્રોત્સાહન આપવા માટે એનસીઈઆરટી ઇતિહાસમાં પ્રથમ વખત પાઠ્યપુસ્તકમાં માતૃભાષામાં વર્કશીટ તૈયાર કરાવવા જઈ રહ્યું છે. આપત્તિ વ્યવસ્થાપનના પાઠમાં ત્રિ-ભાષા ફોર્મ્યુલા ઉમેરવામાં આવી છે, જેના આધારે વિદ્યાર્થીઓ ઇન્ટરનેટ રિસર્ચ કરીને પોતાની માતૃભાષામાં કેસ સ્ટડી લખી શકશે. આ ઉપરાંત, દેશમાં ચાલી રહેલા મહિલા અનામતના ગરમાગરમ રાજકીય મુદ્દાને પણ અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું છે. લોકશાહીમાં મહિલા મતદાન અને તેમની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે આખું પ્રકરણ રાખવામાં આવ્યું છે, જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાતની કેસ સ્ટડીના માધ્યમથી ‘વુમન ફ્રેન્ડલી પંચાયત’ (મહિલા સ્નેહી પંચાયત) નું ઉદાહરણ આપીને સમજાવવામાં આવ્યું છે કે મહિલાઓની વહીવટી ભાગીદારીથી કેવા મોટા સામાજિક બદલાવ આવી શકે છે.
