ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧3 જુલાઈ, ૨૦૨૧
મંગળવાર
પ્રીતમ મુંડેને કેન્દ્રીય પ્રધાનમંડળના વિસ્તરણમાં સ્થાન ન મળતાં પંકજા મુંડે નારાજ હોવાની ચર્ચાએ ખૂબ જોર પકડ્યું હતું. પ્રધાનપદ ન મળતાં મુંડેના સમર્થકો પણ નારાજ થયા હતા અને પાર્ટીમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પૃષ્ઠભૂમિ પર તેઓ ગઈકાલે દિલ્હી ગયાં હતાં અને પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વને મળ્યાં હતાં. ત્યાર બાદ આજે મુંબઈ પરત સમર્થકો સાથે બેઠક યોજી હતી.
એ સમયે કાર્યકરો સાથે વાત કરતાં પંકજા મુંડેએ કહ્યું હતું કેમને પદ અને ખુરશીની કોઈ લાલચ નથી. રાજીનામું આપનાર કાર્યકરનું રાજીનામું હું રદ કરું છું. તેમણે લાગણીશીલ થઈને કહ્યું હતું કે મારી આંખોમાં આંસુ જોઈને તમે રાજીનામું આપ્યું, હું તમારી આંખોમાં આંસુઓ સાથે કેવી રીતે જીવી શકું? ગઈકાલે હું દિલ્હી ગઈ હતી. હું પાર્ટીના કામ માટે ગઈ હતી અને આ બાબતે ચર્ચા કરવા ગઈ ન હતી.
તેમણે ઉમેર્યું હતું કે વડા પ્રધાન મોદી અને નડ્ડા દ્વારા તેમની સાથે ખૂબ આદરપૂર્વક વર્તન કરવામાં આવ્યું હતું. પક્ષના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કાર્યકરો તેમની ફરિયાદોથી મુક્તિ મેળવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે એક મહાન નેતા હંમેશાં ત્યાગ કરે છે. હું રાજકારણમાં કોઈ પદની લાલચથી આવી ન હતી. એ આપણા સંસ્કાર નથી. ગોપીનાથ મુંડે મને રાજકારણમાં વંચિતોની સેવા કરવા માટે લાવ્યા હતા. આ આવાં મીઠાં વચનો સાથે પંકજા મુંડેએ પોતાના સમર્થકોને સમજાવ્યા હતા.
