News Continuous Bureau | Mumbai
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે હોર્મુઝની સામુદ્રધુની બંધ થવાથી ભારત સહિત વિશ્વભરમાં ઈંધણ પુરવઠાની ચિંતા વધી હતી. જોકે, ભારત સરકારના જણાવ્યા મુજબ, યુએઈ (UAE) થી બે એલપીજી કેરિયર અને સાઉદી અરેબિયાથી એક ક્રૂડ ઓઈલ ટેન્કર ભારતીય બંદરો તરફ આગળ વધી રહ્યા છે. આ સંકટને જોતા નૌસેના પ્રમુખ દિનેશ ત્રિપાઠીએ તેમનો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો સત્તાવાર પ્રવાસ રદ કરીને ઓપરેશન પર નજર રાખવાનું નક્કી કર્યું છે.
૯૨,૦૦૦ ટન LPG સાથે ‘પાઈન ગેસ’ અને ‘જગ વસંત’ રવાના
શિપિંગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિન્હાએ જણાવ્યું કે, ભારતીય ધ્વજ ધરાવતા બે જહાજો ‘જગ વસંત’ અને ‘પાઈન ગેસ’ સોમવારે સવારે UAE ના બંદરોથી રવાના થયા છે. આ બંને જહાજો પર કુલ ૯૨,૦૦૦ ટન LPG છે.જગ વસંત: ૨૬ માર્ચ સુધીમાં કાંડલા બંદર (ગુજરાત) પહોંચવાની શક્યતા છે.પાઈન ગેસ: ૨૮ માર્ચ સુધીમાં ન્યુ મેંગલોર બંદર પહોંચી શકે છે.ઈરાને આ બંને જહાજોને હોર્મુઝ માર્ગ પરથી પસાર થવાની મંજૂરી આપી દીધી છે અને ભારતીય નૌસેનાના યુદ્ધજહાજો તેમને સતત સુરક્ષા કવચ પૂરું પાડી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Netanyahu’s Stern Warning: અમે અટકીશું નહીં, હુમલા ચાલુ રહેશે!’: ટ્રમ્પ સાથેની વાતચીત બાદ નેતન્યાહૂ લાલચોળ; ૨ વૈજ્ઞાનિકોની હત્યાની કબૂલાત સાથે ઈરાનને ખુલ્લી ધમકી.
સાઉદી અરેબિયાથી આવી રહ્યું છે ‘MT Kallista’
એલપીજી ઉપરાંત, સાઉદી અરેબિયાના યાન્બુ બંદર પરથી કાચું તેલ (Crude Oil) ભરીને ‘MT Kallista’ નામનું ટેન્કર મંગળવારે જેદ્દાહ થઈને ભારતના પારાદીપ બંદર માટે રવાના થશે. આ જહાજ અદનની ખાડી (Gulf of Aden) માંથી પસાર થશે, જ્યાં ભારતીય નૌસેનાના ‘કોલકાતા-ક્લાસ’ ડિસ્ટ્રોયર્સ તેની હિફાજત માટે તૈનાત કરવામાં આવ્યા છે.
ઈરાનને કોઈ ફી ચૂકવી નથી: સરકારનો ખુલાસો
સોશિયલ મીડિયા પર એવી અફવાઓ હતી કે ભારતે હોર્મુઝમાંથી જહાજો પસાર કરવા માટે ઈરાનને ૨૦ લાખ ડોલરની ફી ચૂકવી છે. જોકે, ભારતમાં રહેલા ઈરાની દૂતાવાસે આ અહેવાલોનું ખંડન કર્યું છે. ભારતે પોતાના જહાજો માટે કોઈ ‘ટોલ ટેક્સ’ ચૂકવ્યો નથી. હાલમાં હોર્મુઝની સામુદ્રધુનીમાં કુલ ૫૦૦ જેટલા ટેન્કરો ફસાયેલા છે, જેમાંથી ઈરાન ચકાસણી બાદ પસંદગીના જહાજોને જ જવા દઈ રહ્યું છે.
