ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
16 જુન 2020
ગઈકાલે પાકિસ્તાનથી સમાચાર આવ્યા હતા કે ભારતીય દૂતાવાસના બે કર્મચારી ગુમ થયા છે. સાંજ સુધીમાં એ લોકો મળી ગયા હતા પરંતુ, હવે તેઓની આપવીતી સામે આવી છે. સોમવારની સવારે દૂતાવાસ નજીક આવેલા એક પેટ્રોલપંપ પરથી બંને કર્મચારીઓને ઉઠાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ પંદરથી સોળ હથિયારધારી લોકો દ્વારા આંખ પર પટ્ટી અને હાથોમાં હથકડી પહેરાવી તેમને અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા હતા. આ બંનેને 12 કલાક સુધી મારમારી ભારતીય હાઈકમિશન માં કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓ વિશે તમામ માહિતી મેળવી હતી. ખૂબ માર માર્યા બાદ ભારતીયોએ પીવાનું પાણી માગ્યું તો એકદમ ગંદુ પાણી આપવામાં આવ્યું હતું. આ સાથે જ અજ્ઞાત હથિયારધારીઓ એ બંને ભારતીય કર્મચારીઓને મારવાનો વીડિયો પણ બનાવ્યો હતો. સાથે જ તેમના પર એકસીડન્ટ કરીને ભાગી જવાનો પોલીસ કેસ પાકિસ્તાનમાં નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર કાવતરુ ભારત સાથે બદલો લેવા માટે રચાયું હોવાનું જાણવા મળ્યું છે. ગઈ 31મી મે એ ભારતમાં પાકિસ્તાની દૂતાવાસમાં કામ કરતા બે કર્મચારીઓને જાસૂસી કરતા ભારતમાં રંગેહાથ પકડી પડાયા હતા અને 24 કલાકની અંદર તેઓને પાકિસ્તાન રવાના કરી દીધા હતા. આથી આ બંનેનો બદલો લેવા માટે પાકિસ્તાને આપણા બે કર્મચારીઓને બંધક બનાવ્યા હોવાનું જણાઈ રહ્યું છે…
