News Continuous Bureau | Mumbai
Twisha Sharma Case। મધ્ય પ્રદેશ હાઈકોર્ટે પૂર્વ મોડલ અને અભિનેત્રી ત્વિષા શર્માના મોતના મામલામાં મોટો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે આ કેસના મુખ્ય આરોપી અને ત્વિષાના સાસુ પૂર્વ ન્યાયાધીશ ગિરિબાલા સિંહને મળેલી આગોતરા જામીન અરજીને રદ્દ કરી દીધી છે. જબલપુરમાં સુનાવણી દરમિયાન વેકેશન જજ દેવનરાયણ મિશ્રાએ જણાવ્યું કે, કેસની ગંભીરતા અને લગાવવામાં આવેલા આરોપોને જોતા ભોપાલ સત્ર અદાલત દ્વારા ૧૫ મે ૨૦૨૬ના રોજ આપવામાં આવેલા આગોતરા જામીનને તાત્કાલિક અસરથી નિરસ્ત કરવામાં આવે છે. કોર્ટે દહેજ ઉત્પીડન અને અન્ય ગંભીર કલમો હેઠળ ગિરિબાલા સિંહની જામીન રદ્દ કરવાની માંગ કરતી અરજીને સ્વીકારી લીધી છે.
પીડિત પરિવારના વકીલની અપીલ: કાયદાનું સન્માન કરી સીબીઆઈ સમક્ષ આત્મસમર્પણ કરવું જોઈએ
ત્વિષા શર્માના પરિવાર વતી કેસ લડી રહેલા વરિષ્ઠ એડવોકેટ એ હાઈકોર્ટના આ ઐતિહાસિક નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે ન્યાયતંત્ર પર ભરોસો વ્યક્ત કરતા કહ્યું કે, આખરે ત્વિષાના કેસમાં સાચો ન્યાય થયો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ગિરિબાલા સિંહ પોતે ૩૬ વર્ષ સુધી ન્યાયિક સેવામાં રહ્યા છે અને કાયદાના જાણકાર છે, તેથી તેમણે કાયદા પ્રત્યે સન્માન બતાવીને સીબીઆઈ સમક્ષ આત્મસમર્પણ (સરેન્ડર) કરી દેવું જોઈએ અને તપાસ એજન્સીને પૂછપરછમાં સંપૂર્ણ સહયોગ આપવો જોઈએ.
સીબીઆઈએ આરોપી પતિ સમર્થ સિંહને રિમાન્ડ પર લીધો, ઘટનાસ્થળે તપાસ કરી
આ તરફ તપાસ એજન્સી સીબીઆઈએ પણ પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ભોપાલની સ્થાનિક અદાલતે ત્વિષા શર્માના પતિ સમર્થ સિંહને સીબીઆઈ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. રિમાન્ડ મળતાની સાથે જ સીબીઆઈની સ્પેશિયલ ટીમ આરોપી સમર્થ સિંહને સાથે રાખીને કટારા હિલ્સ સ્થિત ગિરિબાલા સિંહના નિવાસ્થાન એટલે કે ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં ગુના વાળી જગ્યાનું પુનઃનિર્માણ (ક્રાઈમ સીન રિક્રિએશન) કરીને પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા અને અલગ-અલગ નિવેદનોના આધારે ઊંડાણપૂર્વક તપાસ આગળ ધપાવવામાં આવી છે.
૧૨ મેના રોજ સાસરિયામાં ફાંસીના ફંદે લટકતી મળી હતી ત્વિષા, તપાસ હવે સીબીઆઈના હાથમાં
અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ મોડલ ત્વિષા શર્મા ગત ૧૨ મેના રોજ ભોપાલમાં આવેલા તેના સાસરે રહસ્યમય સંજોગોમાં ફાંસીના ફંદે લટકતી મળી આવી હતી. ત્યારબાદ મધ્ય પ્રદેશ પોલીસની તપાસથી અસંતુષ્ટ પરિવારે કેન્દ્રીય એજન્સીની માંગ કરી હતી, જેના પગલે સીબીઆઈએ સોમવારે આ કેસની તપાસ સત્તાવાર રીતે પોતાના હાથમાં લીધી હતી. સીબીઆઈએ સ્થાનિક પોલીસની એફઆઈઆરને રિ-રજિસ્ટર કરીને મૃતક ત્વિષાના પતિ સમર્થ સિંહ અને સાસુ ગિરિબાલા સિંહને મુખ્ય આરોપી બનાવ્યા છે. કોર્ટના આ આકરા વલણ બાદ હવે ગમે ત્યારે પૂર્વ જજ ગિરિબાલા સિંહની ધરપકડ થઈ શકે છે.
👉 આ સમાચાર વાચો:
BMC Land Deal। શિંદે જૂથના પ્લાન પર આદિત્ય ઠાકરેએ ફેરવ્યું પાણી, દેવેન્દ્ર ફડણવીસ સાથે ગુપ્ત વાતચીત લીક
