News Continuous Bureau | Mumbai
નોઈડામાં સોમવારે થયેલા શ્રમિકોના હિંસક પ્રદર્શન અને આગજની બાદ ઉત્તર પ્રદેશ સરકારે મોડી રાત્રે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે શ્રમિકોની માંગણીઓને ધ્યાનમાં રાખીને લઘુત્તમ વેતનમાં વચગાળાનો વધારો જાહેર કર્યો છે. આ નવા દરો ૧ એપ્રિલ ૨૦26 થી પૂર્વવર્તી અસરથી લાગુ કરવામાં આવશે.સરકારે સ્પષ્ટતા કરી છે કે આ એક તાત્કાલિક લેવાયેલો નિર્ણય છે અને આગામી સમયમાં ‘વેજ બોર્ડ’ ના ગઠન દ્વારા વેતનની વ્યાપક સમીક્ષા કરવામાં આવશે. આ સાથે જ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ₹૨૦,૦૦૦ ના લઘુત્તમ વેતનની અફવાઓનું સરકારે ખંડન કર્યું છે.
ઉત્તર પ્રદેશમાં હવે કેટલો મળશે પગાર?
ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા શ્રમિકોના હિતમાં લેવાયેલા આ નિર્ણય બાદ વિવિધ શ્રેણીના કામદારો માટે નવા વેતન દરો જાહેર કરવામાં આવ્યા છે. આ ફેરફાર મુજબ, અકુશળ (Unskilled) શ્રમિકોને હવે માસિક ₹11,313.65 (દૈનિક ₹435.14) અને અર્ધકુશળ (Semi-skilled) શ્રમિકોને માસિક ₹12,446.00 (દૈનિક ₹478.69) વેતન પ્રાપ્ત થશે. આ ઉપરાંત, કુશળ (Skilled) શ્રમિકો માટે માસિક વેતન વધારીને ₹13,940.37 (દૈનિક ₹536.16) નક્કી કરવામાં આવ્યું છે. સરકારના આ ઐતિહાસિક પગલાને કારણે વિવિધ શ્રેણીઓમાં શ્રમિકોના પગારમાં મહત્તમ ₹૩૦૦૦ સુધીનો ધરખમ વધારો નોંધાયો છે, જે 1 એપ્રિલથી અમલી બનશે.
આ સમાચાર પણ વાંચો : Abhishek Bachchan IPL Team: IPL ટીમ કેમ ન ખરીદી? અભિષેક બચ્ચને આપ્યો રોકડિયો જવાબ, રમત પ્રત્યેના પોતાના ઝનૂન વિશે કરી ખુલીને વાત
₹20,000 વેતનની વાત તદ્દન ખોટી: સરકાર
સોશિયલ મીડિયા પર શ્રમિકોનું લઘુત્તમ વેતન ₹૨૦,૦૦૦ કરી દેવાયું હોવાના દાવા કરવામાં આવી રહ્યા હતા. સરકારે પ્રેસ રિલીઝ દ્વારા જણાવ્યું છે કે આ માહિતી ‘મનઘડત અને જૂઠી’ છે. નાગરિકોને માત્ર સત્તાવાર સ્ત્રોતો દ્વારા મળેલી માહિતી પર જ વિશ્વાસ કરવા અપીલ કરવામાં આવી છે.
CM યોગીની ઉદ્યોગપતિઓને અપીલ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ કંપની માલિકોને નિયમ મુજબ પગાર, ઓવરટાઈમ અને બોનસ ચૂકવવા સૂચના આપી છે. કાર્યસ્થળ પર મહિલા શ્રમિકોની સુરક્ષા અને સન્માનને પ્રાધાન્ય આપવા જણાવાયું છે. નોઈડામાં હિંસા ફેલાવનારા અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડનારા અસામાજિક તત્વો સામે દંડાત્મક કાર્યવાહી કરવા વહીવટીતંત્રને આદેશ આપ્યા છે.આવતા મહિને વેજ બોર્ડની રચના કરવામાં આવશે, જે ભવિષ્યમાં કાયમી વેતન માળખું નક્કી કરશે.
