News Continuous Bureau | Mumbai
Vayu Shakti 2026: અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ હવે પૂર્ણ કક્ષાના યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. તાલિબાનના હુમલામાં ૫૫ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા બાદ બંને દેશોએ એકબીજા પર એરસ્ટ્રાઈક શરૂ કરી છે. આ ગંભીર તણાવ વચ્ચે, ભારતીય વાયુસેના આજે ‘વાયુ શક્તિ ૨૦૨૬’ નામનો ભવ્ય યુદ્ધાભ્યાસ કરી રહી છે. ખાસ વાત એ છે કે, આ અભ્યાસ પાકિસ્તાન સરહદ નજીક યોજાશે, જે આતંકવાદ સામે ભારતની ‘ઝીરો ટોલરન્સ’ નીતિનો સ્પષ્ટ સંદેશ આપશે.આ યુદ્ધાભ્યાસમાં ભારતીય વાયુસેનાના મુખ્ય ફાઇટર જેટ્સ જેવા કે રાફેલ, સુખોઈ-૩૦ MKI, તેજસ, મિરાજ-૨૦૦૦ અને જગુઆર ભાગ લેશે. આ ઉપરાંત પ્રચંડ, અપાચે અને ચિનૂક જેવા અત્યાધુનિક હેલિકોપ્ટર પણ પોતાની તાકાત બતાવશે. વાયુસેનાના ડેપ્યુટી ચીફ એર માર્શલ નાગેશ કપૂરે જણાવ્યું કે આ અભ્યાસ દ્વારા ભારતની અચૂક મારક ક્ષમતા વિશ્વ સમક્ષ આવશે.
૧૨ હજાર કિલોના બોમ્બ અને ૨૭૭ હથિયારોનો મારો
‘વાયુ શક્તિ ૨૦૨૬’ માં વાયુસેના કુલ ૧૨,૦૦૦ કિલો વજનના બોમ્બ ફેંકીને લક્ષ્યનો વેધ લેશે. આમાં કુલ ૨૭૭ પ્રકારના અત્યાધુનિક હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે. આ અભ્યાસ માત્ર દિવસ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં સાંજ અને રાત્રિના ઓપરેશનનો પણ સમાવેશ થાય છે. રાત્રિના અંધકારમાં દુશ્મનનો સચોટ વેધ કેવી રીતે લેવો, તેનું પ્રદર્શન કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Gold and Silver: સોનાનો ભાવ આભે આંબ્યો: ₹૧.૬૦ લાખના લેવલ પર પહોંચ્યું સોનું, ચાંદી પણ મોંઘી થઈ; જુઓ આજના લેટેસ્ટ ભાવ.
‘ઓપરેશન સિંદૂર’ પછી વાયુસેના સજ્જ
એર માર્શલ કપૂરે ‘ઓપરેશન સિંદૂર’ ની યાદ અપાવી, જેમાં ભારતે રાફેલની મદદથી પાકિસ્તાનની હવાઈ યુદ્ધ લડવાની ક્ષમતા જ ખતમ કરી દીધી હતી. તે જ રીતે હવે વાયુસેના નવી પેઢીના અત્યાધુનિક વિમાનોનો સમાવેશ કરવાનું વિચારી રહી છે. ભારતની વધતી જતી હવાઈ શક્તિને જોતા પાડોશી દેશોની હિલચાલ પર ભારતીય સેનાની કડક નજર છે.
પાકિસ્તાન-અફઘાનિસ્તાન યુદ્ધની પૃષ્ઠભૂમિ
પાકિસ્તાને રવિવારે અફઘાનિસ્તાન પર કરેલી એરસ્ટ્રાઈકમાં નિર્દોષ મહિલાઓ અને બાળકોના મોત થયા હતા. તેનો બદલો લેવા માટે તાલિબાને પાકિસ્તાની સૈન્ય ચોકીઓ પર હુમલો કર્યો, જેમાં ૫૫ પાક. સૈનિકો માર્યા ગયા. વળતા પ્રહારમાં પાકિસ્તાને ફરી કાબુલ અને કંધાર પર બોમ્બમારો કર્યો છે. આ ભયાનક યુદ્ધના કારણે ડૂરન્ડ લાઇન પર ભારે તણાવ છે અને ભારતના આ અભ્યાસનું મહત્વ વધી ગયું છે.
