News Continuous Bureau | Mumbai
IND vs PAK ટી-20 વર્લ્ડ કપ 2026 માં ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે, પરંતુ 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમાનારી મોટી મેચ પહેલા સ્ટાર ઓપનર અભિષેક શર્માની તબિયતને લઈને સવાલો ઉઠી રહ્યા છે. પેટની તકલીફને કારણે અભિષેક નામિબિયા સામેની મેચ રમી શક્યો ન હતો. જોકે, ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તીએ હવે તેની ફિટનેસ અંગે એક આશાસ્પદ અપડેટ આપી છે.વરુણ ચક્રવર્તીએ જણાવ્યું કે, અભિષેક શર્માને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને તે નામિબિયા સામેની મેચ દરમિયાન ડગઆઉટમાંહાજર હતો. અમેરિકા સામેની મેચ બાદ તેની તબિયત બગડી હતી, પરંતુ હવે તે રિકવરી કરી રહ્યો છે. જો અભિષેક પાકિસ્તાન સામેની મેચમાં ઉપલબ્ધ રહેશે તો ભારતની ઓપનિંગ જોડી વધુ મજબૂત બનશે.
વરુણ ચક્રવર્તીએ શું કહ્યું?
મેચ બાદ મીડિયા સાથે વાત કરતા વરુણ ચક્રવર્તીએ કહ્યું, “મને લાગે છે કે તે આગામી મેચ રમશે. મેં તેની સાથે વાત કરી છે અને તે અત્યારે ઠીક દેખાઈ રહ્યો છે. તેણે આજે થોડો સમય પ્રેક્ટિસ પણ કરી હતી. મને આશા છે કે તે ટૂંક સમયમાં મેદાનમાં વાપસી કરશે.” વરુણના આ નિવેદનથી ફેન્સમાં આશા જાગી છે કે પાકિસ્તાન સામે અભિષેક શર્માની તોફાની બેટિંગ જોવા મળી શકે છે.
કેપ્ટન સૂર્યકુમાર યાદવની ચિંતા
બીજી તરફ, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ દરમિયાન કંઈક અલગ જ સંકેત આપ્યા હતા. સૂર્યાએ જણાવ્યું હતું કે અભિષેક હજુ એક કે બે મેચ ગુમાવી શકે છે. જો તેની તબિયતમાં સંપૂર્ણ સુધારો નહીં થાય તો ટીમ મેનેજમેન્ટ પાકિસ્તાન જેવી મહત્વની મેચમાં કોઈ જોખમ લેવા માંગશે નહીં. અત્યારે મેડિકલ ટીમ તેના પર સતત નજર રાખી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Traffic Alert: મુંબઈગરાઓ સાવધાન: દાદરનો તિલક બ્રિજ આગામી 3 મહિના સુધી ભારે વાહનો માટે બંધ, ટ્રાફિક જામથી બચવા ફોલો કરો આ રૂટ.
સુપર-8 માટે પાકિસ્તાન સામે જીત જરૂરી
ભારત અને પાકિસ્તાન બંને ટીમોએ અત્યાર સુધી આ વર્લ્ડ કપમાં પોતાના બંને શરૂઆતી મુકાબલા જીત્યા છે. બંને ટીમો પાસે 4-4 પોઈન્ટ્સ (Points) છે. જે પણ ટીમ 15 ફેબ્રુઆરીની મેચ જીતશે, તે સીધી સુપર-8 માટે ક્વોલિફાય થઈ જશે. આ હાઈ-વોલ્ટેજ મેચમાં અભિષેક શર્માની ગેરહાજરી ભારત માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે, કારણ કે તેની આક્રમક બેટિંગ પાવરપ્લેમાં ટીમ માટે ખૂબ જ મહત્વની છે.
