News Continuous Bureau | Mumbai
Dostana 2 Movie Updates। બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કરણ જોહરની ચર્ચિત અને આગામી ફિલ્મ ‘દોસ્તાના ૨’ છેલ્લા સાત વર્ષથી કોઈને કોઈ વિવાદોના કારણે અટકેલી પડી છે. વર્ષ ૨૦૧૯ માં આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધી ફિલ્મ ક્યારેક કાસ્ટિંગ તો ક્યારેક આંતરિક વિવાદોના લીધે પાટા પર ચડી શકી નથી. તાજેતરમાં જ અહેવાલો આવ્યા હતા કે મેકર્સે આ ફિલ્મ પર ફરીથી કામ શરૂ કર્યું છે, પરંતુ હવે ‘દોસ્તાના ૨’ ને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ફિલ્મનું નિર્દેશન કરી રહેલા જાણીતા ડાયરેક્ટરે આ પ્રોજેક્ટમાંથી અચાનક એક્ઝિટ લઈ લીધી છે, જેના કારણે ફિલ્મનું ભવિષ્ય ફરી એકવાર જોખમમાં આવી ગયું છે.
ક્રિએટિવ મતભેદો વધતાં અદ્વૈત ચંદને છોડી ફિલ્મ, ૭ મહિના સુધી સ્ક્રિપ્ટ પર કર્યું હતું કામ
કરણ જોહરના ‘ધર્મા પ્રોડક્શન્સ’ દ્વારા નિર્મિત ‘દોસ્તાના ૨’ ના નિર્દેશનની જવાબદારી સંભાળી રહેલા પ્રખ્યાત ડાયરેક્ટર અદ્વૈત ચંદને આ પ્રોજેક્ટથી પોતાને સત્તાવાર રીતે અલગ કરી લીધા છે. જો કે, ફિલ્મ નિર્માતા કરણ જોહર કે પ્રોડક્શન હાઉસ તરફથી આ બાબતે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. પરંતુ મીડિયા ના અહેવાલ અનુસાર, અદ્વૈત ચંદન અને મેકર્સ વચ્ચે ફિલ્મની વાર્તા અને નિર્દેશનને લઈને લાંબા સમયથી ક્રિએટિવ ડિફરન્સિસ (વૈચારિક મતભેદો) ચાલી રહ્યા હતા. આમિર ખાનની સુપરહિટ ફિલ્મ ‘સિક્રેટ સુપરસ્ટાર’ અને ‘લાલ સિંહ ચડ્ડા’ નું ડાયરેક્શન કરનારા અદ્વૈતે આ પ્રોજેક્ટને આકાર આપવામાં આશરે સાત મહિના વિતાવ્યા હતા, પરંતુ અંતે મતભેદો વધતાં તેમણે પરસ્પર સંમતિથી કોઈ પણ જાહેર વિવાદ વગર આ ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો છે.
૨૦૧૯ માં કાર્તિક આર્યન અને જ્હાન્વી કપૂર સાથે ગોવામાં શરૂ થયું હતું શૂટિંગ, આ કારણે અટકી ફિલ્મ
ઉલ્લેખનીય છે કે, ‘દોસ્તાના ૨’ એ વર્ષ ૨૦૦૮ માં આવેલી જોન અબ્રાહમ, અભિષેક બચ્ચન અને પ્રિયંકા ચોપરાની સુપરહિટ કોમેડી ફિલ્મ ‘દોસ્તાના’ ની સત્તાવાર સિક્વલ છે. વર્ષ ૨૦૧૯ માં જ્યારે નવી સ્ટારકાસ્ટ સાથે આ ફિલ્મની ઘોષણા થઈ, ત્યારે તેમાં કાર્તિક આર્યન, જ્હાન્વી કપૂર અને લક્ષ્ય લાલવાની મુખ્ય ભૂમિકામાં હતા. ગોવામાં ફિલ્મનું શૂટિંગ પણ ધામધૂમથી શરૂ થઈ ગયું હતું. પરંતુ વર્ષ ૨૦૨૧ માં કરણ જોહર અને કાર્તિક આર્યન વચ્ચે થયેલા ભારે કથિત વિવાદ અને અણબનાવના કારણે કાર્તિકે આ ફિલ્મ અધવચ્ચે જ છોડી દીધી હતી. લીડ એક્ટરના બહાર નીકળી જવાથી કરોડો રૂપિયાનું નુકસાન થયું અને શૂટિંગ કાયમ માટે અટકી પડ્યું હતું.
વિક્રાંત મેસી અને પૂર્વ મિસ ઈન્ડિયા સિની શેટ્ટી સાથે થવાની હતી વાપસી
વર્ષો સુધી કોલ્ડ સ્ટોરેજમાં રહ્યા બાદ, ગયા વર્ષે એવા અહેવાલો વહેતા થયા હતા કે કરણ જોહરે આ ફિલ્મને ફરીથી જીવંત કરવાનો મોટો પ્લાન બનાવ્યો છે. નવી અફવાઓ મુજબ, હવે આ ફિલ્મમાં કાર્તિક આર્યનના સ્થાને નેશનલ એવોર્ડ વિનર એક્ટર વિક્રાંત મેસી અને લક્ષ્ય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જ્યારે તેમની સાથે પૂર્વ મિસ ઈન્ડિયા વર્લ્ડ સિની શેટ્ટી બોલિવૂડમાં પોતાનું ગ્લેમરસ ડેબ્યુ કરવા જઈ રહી છે. જો કે, આ કાસ્ટિંગ અંગે કોઈ સત્તાવાર મહોર વાગી નહોતી, ત્યાં જ ડિરેક્ટરના જવાથી ફેન્સ નિરાશ થયા છે. રસપ્રદ વાત એ છે કે અદ્વૈત ચંદન આ ફિલ્મ છોડનારા પહેલા નિર્દેશક નથી, તેમના અગાઉ ડાયરેક્ટર કોલિન ડી’કુન્હા પણ કરણ જોહરના ક્રિએટિવ નિર્ણયોથી કંટાળીને આ પ્રોજેક્ટમાંથી બહાર થઈ ચૂક્યા છે. હવે જોવાનું એ રહેશે કે કરણ જોહર કયા નવા ડિરેક્ટર સાથે ‘દોસ્તાના ૨’ નું ડૂબતું વહાણ બચાવે છે.
👉 આ સમાચાર વાચો:
Vikram Bhatt Interview।સુષ્મિતા સેન સાથેના અફેર પર વિક્રમ ભટ્ટનો સનસનાટીપૂર્ણ ખુલાસો; કંગાળીના એ દિવસો યાદ કરી ધ્રુજી ઉઠ્યા ડિરેક્ટર
