News Continuous Bureau | Mumbai
KSBKBT2| ટીવી સીરિયલ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ ની બીજી સીઝન (KSBKBT2) હાલમાં દર્શકોમાં ખૂબ લોકપ્રિય છે, પરંતુ તેમાં આવેલા તાજેતરના એક ટ્વિસ્ટને કારણે નિર્માતા એકતા કપૂર સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઈ રહી છે. સીરિયલમાં 51 વર્ષીય અભિનેતા આકાશદીપ સહગલની તુલસી વિરાનીના પૌત્ર ‘રિયો’ ના પાત્રમાં એન્ટ્રી કરાવવામાં આવી છે, જે દર્શકોને બિલકુલ પસંદ પડી નથી. ચાહકોનું માનવું છે કે આ ઉંમરના અભિનેતા પૌત્રના રોલ માટે બિલકુલ યોગ્ય નથી.
સોશિયલ મીડિયા પર ચાહકોનો રોષ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર યુઝર્સે પોતાનો ગુસ્સો ઠાલવતા આકાશદીપને પૌત્ર તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. એક યુઝરે લખ્યું, “વાર્તામાં તો ગમે તેમ એડજસ્ટ કરી લઈશું, પણ 50 વર્ષના પૌત્રને કેવી રીતે સહન કરી શકાય?” અન્ય એક યુઝરે કટાક્ષ કરતા કહ્યું કે, “આ તો તેના પિતા સમાન દેખાતા કરણ કરતા પણ ઉંમરમાં મોટો લાગે છે.” યુઝર્સ એકતા કપૂરને સવાલો પૂછી રહ્યા છે કે આ પ્રકારનું કાસ્ટિંગ કેમ કરવામાં આવ્યું.
આકાશદીપ સહગલનો બચાવ
નોંધનીય છે કે, આકાશદીપ સહગલે આ સીરિયલની પ્રથમ સીઝનમાં તુલસીના પુત્ર ‘અંશ વિરાની’ નું પાત્ર ભજવ્યું હતું, જેનું પાત્ર અંતે મૃત્યુ પામ્યું હતું. હવે તે પૌત્ર બનીને પરત ફર્યા છે. આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા આકાશદીપે જણાવ્યું કે, “એક્ટિંગનો ઉંમર સાથે કોઈ સંબંધ નથી, બધું એનર્જી પર નિર્ભર કરે છે.” તેમણે એકતા કપૂર અને મેકર્સની પ્રશંસા કરતા કહ્યું કે જૂની કાસ્ટને પાછી લાવવી એ સારો વિચાર છે.
સીરિયલની લોકપ્રિયતા પર અસર?
જોકે ચાહકો આ કાસ્ટિંગથી નારાજ છે, પરંતુ ટીઆરપી (TRP) ના આંકડામાં આ નવા ટ્વિસ્ટની અસર જોવા મળી રહી છે. સીરિયલ સતત ટોપ પર રહી છે અને દર્શકો આગામી એપિસોડમાં ‘રિયો’ ના પાત્ર સાથે જોડાયેલા નવા રહસ્યો જાણવા માટે ઉત્સુક છે. વિરોધ હોવા છતાં, આ વિવાદને કારણે સીરિયલ ચર્ચામાં છે, જે કદાચ મેકર્સની વ્યૂહરચનાનો જ એક ભાગ હોય શકે છે.
👉 આ સમાચાર વાચો:
Raja Shivaji। રિતેશ દેશમુખની ફિલ્મ ‘રાજા શિવાજી’ નો દમ ગણતરીના કલાકોમાં જ 40,000 ટિકિટ વેચાઈ
