News Continuous Bureau | Mumbai
Nita Ambani। ન્યૂયોર્કમાં યોજાયેલી TIME100 સમિટમાં નીતા અંબાણીએ પશ્ચિમ બંગાળની અતિ પ્રાચીન અને સમૃદ્ધ ‘જામદાની’ સાડી પહેરીને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું હતું. પદ્મશ્રી એવોર્ડ વિજેતા બીરેન કુમાર બાસકે દ્વારા 24 મહિનાની સખત મહેનતથી હાથથી વણાયેલી આ સાડી માત્ર એક વસ્ત્ર નથી, પરંતુ એક જીવંત કલાકૃતિ છે. આ સાડીની સુંદરતા અને તેની પાછળની મહેનતે ફરી એકવાર ફેશન જગતમાં જામદાનીની લોકપ્રિયતા વધારી દીધી છે.
શું છે આ સાડીની ખાસિયત?
આ સાડી પશ્ચિમ બંગાળની આદિવાસી સંસ્કૃતિની વાર્તાઓ કહે છે. તેના પાલવ પર ઉત્સવના દ્રશ્યો, માનવીય આકૃતિઓ, પ્રાણીઓ અને વૃક્ષો-છોડની ખૂબ જ બારીકાઈથી કોતરણી કરવામાં આવી છે. સાડીના કિનારે માછલીની પ્રિન્ટ છે, જે સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. આ સાડી ‘સ્વદેશ’ પ્રોજેક્ટનો એક ભાગ છે, જે ભારતની પરંપરાગત કલાઓને વિશ્વસ્તરે પહોંચાડવાનું કામ કરે છે.
જામદાની કળાનો ઐતિહાસિક વારસો
જામદાની વણાટની કળાને 2013માં યુનેસ્કો (UNESCO) દ્વારા ‘ઈનટેન્જીબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમેનિટી’માં સામેલ કરવામાં આવી હતી. ચોથી શતાબ્દી પૂર્વેથી અસ્તિત્વ ધરાવતી આ કળા એક સમયે ‘ઢાકા મલમલ’ તરીકે જાણીતી હતી. તે મધ્યયુગીન કાળમાં મુઘલ અને તુગલક શાસન દરમિયાન ખૂબ જ ફલી-ફૂલી હતી. જામદાનીમાં વપરાતી ‘એક્સ્ટ્રા-વેફ્ટ’ તકનીક તેને સૌથી અલગ અને કિંમતી બનાવે છે, જેમાં કારીગરોએ કપડાના તાણાવાણામાં દરેક ડિઝાઈનને ખૂબ જ ઝીણવટપૂર્વક ગૂંથવી પડે છે.
ફેશન આઈકોન્સની પ્રથમ પસંદગી
હાલમાં જામદાની સાડીઓ માત્ર નીતા અંબાણી જ નહીં, પરંતુ અન્ય બોલિવૂડ હસ્તીઓની પણ પહેલી પસંદ બની ગઈ છે. અભિનેત્રી કંગના રનૌતે તાજેતરમાં નંદીગ્રામમાં સફેદ જામદાની સાડી પહેરી હતી, તો બીજી તરફ આલિયા ભટ્ટે પણ દુર્ગા પૂજા દરમિયાન પિસ્તા અને સફેદ રંગની ‘ઢકાઈ જામદાની’ સાડી પહેરીને સૌને પ્રભાવિત કર્યા હતા. જામદાનીના ત્રણ મુખ્ય પ્રકારો – બૂટીદાર (ફૂલોની ડિઝાઇન), ટેરચી (તિરછી લાઈનો) અને જાળા (જટિલ જાળીદાર ડિઝાઈન) – આજે પણ ફેશન જગતમાં એક અલગ જ ઓળખ ઊભી કરી રહ્યા છે.
👉 આ સમાચાર વાચો:
Kalki Sequel| ફિલ્મનું નવું નામ અને કર્ણના પાત્ર પર ફોકસ, જાણો શૂટિંગ વિશેની ખાસ વાતો.”
