News Continuous Bureau | Mumbai
Urvashi Dholakia vs Asit Modi | ટીવીની જાણીતી અભિનેત્રી ઉર્વશી ધોળકિયાએ સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારી પોસ્ટ શેર કરીને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના નિર્માતા અસિત કુમાર મોદી પર પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. ઉર્વશીએ આક્ષેપ કર્યો છે કે અસિત મોદીની પ્રોપર્ટીમાં મોડી રાત સુધી ચાલતા કન્સ્ટ્રક્શન ના કામને કારણે આસપાસના રહીશોની ઊંઘ અને સ્વાસ્થ્ય હરામ થઈ ગયું છે. આ મામલો એટલો વણસ્યો હતો કે ઉર્વશીએ અડધી રાત્રે જ પોલીસને ફોન કરવાની ફરજ પડી હતી.
અસિત મોદીના કામથી રહીશો પરેશાન
ઉર્વશીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક ઓપન લેટર લખીને ખુલાસો કર્યો કે છેલ્લા કેટલાક દિવસોથી તેના વિસ્તારમાં મોડી રાત સુધી બાંધકામનું કામ ચાલી રહ્યું છે. આ કામ અસિત કુમાર મોદીની મિલકત પર થઈ રહ્યું છે. મશીનોનો અવાજ, ડ્રિલિંગ અને સામાનની અવરજવરને કારણે રહીશો માટે આરામ કરવો મુશ્કેલ બની ગયો છે. ઉર્વશીએ આ ઘટનાને ‘અડધી રાતનો આતંક’ ગણાવ્યો છે અને જણાવ્યું છે કે આનાથી બાળકો, વૃદ્ધો અને નોકરીયાત વર્ગના લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી છે.
વહેલી સવારે 4:30 વાગ્યે પોલીસને ફોન કર્યો
પોતાની પોસ્ટમાં ઉર્વશીએ વધુમાં જણાવ્યું કે આ અસહ્ય અવાજથી કંટાળીને તેણે વહેલી સવારે 4:23 વાગ્યે પોલીસને ત્રણ વાર ફોન કર્યો હતો. તે સવારે 5 વાગ્યા સુધી રોડ પર ઉભી રહીને પોલીસની રાહ જોતી રહી, પરંતુ તેની મદદ માટે કોઈ ન આવ્યું. ઉર્વશીએ દુઃખ સાથે જણાવ્યું કે નાગરિક નિયમોની સતત અવગણના કરવામાં આવી રહી છે અને સત્તાધીશો પણ આ મામલે મૌન સેવી રહ્યા છે.
સુરક્ષા અને નિયમોના પાલન અંગે સવાલો
ઉર્વશીએ અસિત મોદીને આડે હાથ લેતા લખ્યું કે સ્થાનિક નિયમો અને નાગરિક ધોરણો મુજબ બાંધકામનો એક નિશ્ચિત સમય હોય છે, જેનું પાલન થવું જોઈએ. કાયદાની અવગણના કરીને મોડી રાત્રે કામ કરવું એ માત્ર અસુવિધા નથી પરંતુ પાયાની જીવનશૈલીનું ઉલ્લંઘન છે. આ પોસ્ટ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો બે ભાગમાં વહેંચાયેલા જોવા મળી રહ્યા છે, જેમાંથી ઘણા લોકો ઉર્વશીના સમર્થનમાં અવાજ ઉઠાવી રહ્યા છે.
👉 આ સમાચાર વાચો:
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી 2: મિહિર-તુલસીનો પુત્ર બનશે શાંતિનિકેતનના પતનનું કારણ, ફરી તૂટશે નંદિનીનું દિલ
