News Continuous Bureau | Mumbai
Zeenat Aman। હિન્દી સિનેમા જગતમાં ૭૦ અને ૮૦ ના દાયકામાં પોતાની બોલ્ડનેસ અને શાનદાર અભિનયથી ધૂમ મચાવનારી પીઢ અભિનેત્રી ઝીનત અમાનનું (Zeenat Aman) ફિલ્મી કરિયર જેટલું સુપરહિટ રહ્યું, તેમની અંગત જિંદગી એટલી જ તકલીફો અને દર્દથી ભરેલી રહી છે. પાંચ અફેર અને બે લગ્નો છતાં તેમની જિંદગી એક સમયે નરક સમાન બની ગઈ હતી. તાજેતરમાં જ, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને પોતાના ભૂતકાળના કાળા રહસ્યો અને ખાસ કરીને બીજા લગ્ન દરમિયાન ભોગવેલી અસહ્ય પીડા વિશે ખુલીને વાત કરી છે.
દેવ આનંદથી લઈને ઈમરાન ખાન સુધી જોડાયું નામ, પહેલા પતિએ કરી હતી ક્રૂરતા
ઝીનત અમાનનું નામ પોતાના સમયના ઘણા દિગ્ગજ લોકો સાથે જોડાયું હતું. ક્યારેક તેઓ દેવ આનંદ સાથેના અફેરની ચર્ચાઓને લીધે હેડલાઈન્સમાં રહ્યા તો ક્યારેક રાજ કપૂર સાથે તેમનું નામ ઉછળ્યું. આ ઉપરાંત, કેટલાક અહેવાલો મુજબ તેઓ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને પણ ડેટ કરી ચૂક્યા છે, જો કે ઝીનતે આ અફવાઓનો ક્યારેય સ્વીકાર કર્યો નથી. ઝીનત સૌથી વધુ લાઈમલાઈટમાં સંજય ખાન સાથેના સંબંધોને કારણે રહ્યા હતા. બંનેએ ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા પરંતુ આ લગ્ન માત્ર એક વર્ષ ચાલ્યા. એવું કહેવાય છે કે એક હોટેલ રૂમમાં સંજય ખાને ઝીનતને નિર્દયતાથી મારી હતી, જેના કારણે તેમની એક આંખને કાયમી નુકસાન થયું હતું.
મઝહર ખાન સાથેના બીજા લગ્નને ઝીનતે ગણાવી મોટી ભૂલ
સંજય ખાનથી અલગ થયા બાદ ઝીનત અમાનના જીવનમાં મઝહર ખાનની એન્ટ્રી થઈ અને બંનેએ લગ્ન કરી લીધા. આ લગ્નથી તેમને બે પુત્રો (અઝાન અને જહાન) છે. જો કે, અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે મઝહર સાથે લગ્ન કરવાનો નિર્ણય પણ તેમના જીવનની એક મોટી ભૂલ હતી. પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ઝીનતે લખ્યું કે, “ફિલ્મ ‘ગવાહી’ નું શૂટિંગ ૧૯૮૮ માં થયું હતું. મારા પહેલા દીકરા અઝાનના જન્મના બે વર્ષ બાદ અને બીજા દીકરા જહાનના ગર્ભધારણથી બરાબર પહેલાં. મારી જિંદગીના આ વળાંક પર, મેં મારા કરિયરની ટોચ પર રહીને જે સુખી સંસારનું સોનેરી સ્વપ્ન જોયું હતું, તે હવે ધૂંધળું થવા લાગ્યું હતું.”
વ્યક્તિગત જીવનના કલેશથી બચવા માટે ફિલ્મોનો લીધો સહારો
ઝીનત અમાનના જણાવ્યા અનુસાર, લગ્ન અને માતૃત્વ બંને તેમના જીવનમાં આવી ચૂક્યા હતા, પરંતુ વૈવાહિક સંબંધોમાં હવે મોટી તિરાડો પડવા લાગી હતી. તેઓ પોતાના નાના પુત્ર અઝાનને લઈને દક્ષિણ બોમ્બેમાં પોતાની માતાના ફ્લેટમાં રહેવા આવી ગયા હતા. આ માનસિક તણાવ વચ્ચે જ ડિરેક્ટર અનંત બલાની અને પ્રોડ્યુસર વિવેક વાસવાની તેમની પાસે એક ઓછા બજેટની કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ ‘ગવાહી’ ની સ્ક્રિપ્ટ લઈને આવ્યા હતા. ઝીનતે જણાવ્યું કે, ભૂતકાળમાં તેઓ પોતાની પ્રોફેશનલ લાઈફથી ભાગવા માંગતા હતા, પરંતુ આ સમયે સ્થિતિ એવી આવી ગઈ હતી કે તેઓ હોમ પ્રોબ્લેમ્સ અને પર્સનલ લાઈફથી બચવા માટે ફરીથી એક્ટિંગ તરફ વળવા મજબૂર થયા હતા અને નવી શરૂઆત માટે આ ફિલ્મ સાઈન કરી હતી.
👉 આ સમાચાર વાચો:
TV TRP Week 19। ‘અનુપમા’ ના રેટિંગ્સ ગગડ્યા! કયા નવા શોએ મારી ધમાકેદાર એન્ટ્રી? જાણી લો કઈ સિરિયલ કયા નંબરે
