News Continuous Bureau | Mumbai
S Jaishankar on Hormuz Strait ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે વકરેલા યુદ્ધને કારણે મધ્ય પૂર્વમાં ભયાનક તણાવની સ્થિતિ છે. ઈરાને વ્યૂહાત્મક રીતે મહત્વની હોર્મુઝની સામુદ્રધુનીપર કબજો કરી તેને બ્લોક કરી દીધી છે. જોકે, આ સંકટ વચ્ચે પણ તેહરાને ભારતીય જહાજોને ત્યાંથી પસાર થવાની મંજૂરી આપી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે આ સફળતા પાછળની ભારતીય કૂટનીતિનો ખુલાસો કરતા જણાવ્યું છે કે આ પરિણામ સતત ચાલી રહેલી વાતચીતનું છે.મીડિયા સાથેની વાતચીતમાં વિદેશ મંત્રીએ સ્પષ્ટ કર્યું કે ભારત માટે એ શ્રેષ્ઠ છે કે અમે પરસ્પર તર્ક-વિતર્ક અને તાલમેલ દ્વારા સમાધાન શોધીએ.
‘કોઈ લેવડ-દેવડ નથી, આ સંબંધોનો ઈતિહાસ છે’
જયશંકરે એ વાતનો ઈનકાર કર્યો હતો કે ઈરાને આ પરવાનગીના બદલામાં ભારત પાસેથી કશું મેળવ્યું છે. તેમણે કહ્યું, “આ કોઈ એક્સચેન્જ કે લેવડ-દેવડનો મુદ્દો નથી. ભારત અને ઈરાન વચ્ચે વર્ષો જૂના મજબૂત સંબંધોનો ઈતિહાસ રહ્યો છે અને તે જ આધારે અમે વાતચીત કરી રહ્યા છીએ. અમે આ સંઘર્ષને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ માનીએ છીએ અને જો વાતચીતથી સકારાત્મક પરિણામો મળી રહ્યા હોય, તો અમે તેને આગળ પણ ચાલુ રાખીશું.”
દરેક જહાજની અવરજવર એક અલગ ઘટના
વિદેશ મંત્રીએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે ભારતીય ધ્વજ ધરાવતા જહાજો માટે ઈરાન સાથે કોઈ કાયમી કે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી નથી. જહાજોની દરેક અવરજવર એક અલગ ઘટના છે અને તે મુજબ જ મંજૂરી મેળવવામાં આવે છે. અત્યારે તો માત્ર શરૂઆત થઈ છે અને હજુ પણ અનેક ભારતીય જહાજો તે વિસ્તારમાં ફસાયેલા છે, તેથી ઈરાન સાથેનો સંપર્ક અને વાટાઘાટો સતત ચાલુ રાખવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Turmeric prices India: હળદરમાં સિઝનનાં પ્રારંભે જ મંદીથી ખેડૂતો પરેશાન
બે LPG જહાજો હોર્મુઝ પાર કરીને સુરક્ષિત નીકળ્યા
તાજેતરમાં જ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) થી ભરેલા બે ભારતીય ટેન્કરો હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ ગયા છે. મધ્ય પૂર્વના યુદ્ધને કારણે આ માર્ગ હવે ‘ચોકપોઈન્ટ’ (અવરોધક બિંદુ) બની ગયો છે, જે ફારસની ખાડીને અરબ સાગર સાથે જોડતો એકમાત્ર માર્ગ છે. ભારતની ઉર્જા સુરક્ષા માટે આ માર્ગ ખુલ્લો રહેવો અત્યંત અનિવાર્ય છે.
