News Continuous Bureau | Mumbai
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે હવે સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે સીધી ટક્કરના એંધાણ વર્તાઈ રહ્યા છે. બુધવારે રિયાધમાં ખાડી દેશોના વિદેશ મંત્રીઓની બેઠક બાદ સાઉદીના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈસલ બિન ફરહાન અલ સઉદે ઈરાનને અત્યાર સુધીની સૌથી કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો ઈરાન તેના પડોશી દેશો પર હુમલા કરવાનું બંધ નહીં કરે, તો સાઉદી અરેબિયા લશ્કરી કાર્યવાહી કરવાનો પૂરો અધિકાર ધરાવે છે.
‘અમારી ધીરજ અસીમિત નથી’ – પ્રિન્સ ફૈસલ
સાઉદી વિદેશ મંત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઈરાન વાતચીતમાં વિશ્વાસ રાખવાને બદલે દબાણની રાજનીતિ કરી રહ્યું છે. તેમણે કહ્યું, “અમે આ દબાણ સામે ઝૂકીશું નહીં. જરૂર પડશે તો સૈન્ય કાર્યવાહી કરવાનો હક અમારી પાસે સુરક્ષિત છે.” સાઉદી અરેબિયાની અત્યારની સૌથી મોટી ચિંતા ખાડી દેશો (Gulf Countries) પર થઈ રહેલા હુમલા રોકવાની છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાનની આક્રમકતા સામે તેમનો સંયમ હવે ખૂટી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Global Oil Crisis: ઓઈલ માર્કેટમાં ભયંકર વિસ્ફોટ! ઈરાનનો રિયાધ અને કતર પર મિસાઈલ મારો, ક્રૂડ તેલના ભાવ આસમાને પહોંચવાની દહેશત.
મીટિંગના સમયે જ રિયાધ પર 4 બેલેસ્ટિક મિસાઈલ નો હુમલો
નોંધનીય છે કે જ્યારે રિયાધમાં પ્રાદેશિક અને ઇસ્લામિક દેશોના વિદેશ મંત્રીઓની મહત્વની બેઠક શરૂ થવાની હતી, ત્યારે જ ઈરાને રિયાધ તરફ ચાર બેલેસ્ટિક મિસાઈલો દાગી હતી. જોકે, સાઉદી સંરક્ષણ દળોએ આ ચારેય મિસાઈલોને હવામાં જ નષ્ટ કરી દીધી હતી. સાઉદી મંત્રીએ આ હુમલાને ‘બ્લેકમેલ’ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ઈરાને જાણી જોઈને આ સમય પસંદ કર્યો હતો જેથી મીટિંગમાં હાજર લોકોને ડરાવી શકાય.
ઈરાન પરથી સંપૂર્ણપણે ભરોસો ખતમ
પ્રિન્સ ફૈસલે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે ઈરાન પર હવે થોડો પણ ભરોસો રહ્યો નથી. પડોશી દેશો પરના હુમલા પહેલેથી જ પ્લાન કરવામાં આવ્યા હતા. સાઉદી અરેબિયાનું હવે એક જ લક્ષ્ય છે કે જે દેશો આ યુદ્ધમાં સામેલ નથી તેમના પરના હુમલા તાત્કાલિક બંધ થાય. તેમણે આશા વ્યક્ત કરી કે ઈરાન આ મીટિંગનો સંદેશ સમજી જશે અને પોતાનું વલણ બદલશે, અન્યથા પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.
