News Continuous Bureau | Mumbai
USIran Crisis| અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ સૈન્ય સંઘર્ષ અને મિસાઈલ હુમલાઓ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) સંકટને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે આગામી એક અઠવાડિયાની અંદર ઈરાન સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી થઈ શકે છે. આ ડીલ થવાથી બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ (સીઝફાયર) આગળ પણ જળવાઈ રહેશે અને દરિયાઈ માર્ગે વેપાર સામાન્ય થઈ શકશે. જોકે, એક તરફ આ રાજદ્વારી વાટાઘાટો ચાલી રહી છે, તો બીજી તરફ બંને દેશો વચ્ચે મિસાઈલ હુમલાઓનો સિલસિલો પણ દના દન ચાલુ છે.
હોર્મુઝ દરિયાઈ માર્ગ ફરીથી ખોલવા માટે એમઓયુ (MoU) પર ચર્ચા અંતિમ તબક્કામાં
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમણે હજુ સુધી આ સમજૂતી કરાર (MoU) ને અંતિમ મંજૂરી આપી નથી. આ સમજૂતી આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યંત મહત્વપૂર્ણ એવા હોર્મુઝ દરિયાઈ માર્ગને જહાજોની અવરજવર માટે સંપૂર્ણપણે ફરીથી ખોલવા માટે તૈયાર કરવામાં આવી છે. ટ્રમ્પે ઉમેર્યું કે, “મારે હજુ પણ આ ડીલના કેટલાક મહત્વના મુદ્દાઓ પર ઈરાન સાથે સહમતિ સાધવાની બાકી છે.” આ પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પણ ટ્રમ્પે લખ્યું હતું કે ઈરાન સાથેની વાતચીત ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે.
શાંતિ વાટાઘાટો વચ્ચે પણ બંને દેશો તરફથી થઈ રહ્યા છે ઘાતક મિસાઈલ હુમલા
રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભલે શાંતિ સમજૂતીનો દાવો કરી રહ્યા હોય, પરંતુ જમીની હકીકત હજુ પણ અત્યંત ગંભીર અને તણાવપૂર્ણ બનેલી છે. તાજેતરમાં જ ઈરાની સેનાએ ઈરાક નજીક એક શિપિંગ કાર્ગો જહાજ પર મિસાઈલ હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે. આ હુમલાના બરાબર એક દિવસ પહેલા અમેરિકી સેનાએ પણ સત્તાવાર માહિતી આપી હતી કે ઈરાન તરફથી કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્ય બેઝને નિશાન બનાવીને બે શક્તિશાળી બેલિસ્ટિક મિસાઈલો દાગવામાં આવી હતી. આ હુમલાઓએ બંને દેશો વચ્ચેના યુદ્ધવિરામની આકરી પરીક્ષા લીધી છે.
બે મહિના પહેલા થયેલો યુદ્ધવિરામ તૂટવાનો મોટો ખતરો મંડરાયો
અમેરિકા અને ઈરાન વચ્ચે આ કૂટનીતિક પ્રયાસો એવા સમયે થઈ રહ્યા છે જ્યારે બંને પક્ષે ભારે અવિશ્વાસનું વાતાવરણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આશરે બે મહિના પહેલા અઠવાડિયા સુધી ચાલેલા ભયાનક સંઘર્ષ બાદ માંડ-માંડ સીઝફાયર લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ વીકેન્ડ દરમિયાન શનિવાર, રવિવાર અને સોમવારે અમેરિકા અને ઈરાન દ્વારા એકબીજા પર કરવામાં આવેલા જવાબી હુમલાઓએ વૈશ્વિક ચિંતા વધારી દીધી છે. સંરક્ષણ નિષ્ણાતોને ડર છે કે જો આ હુમલા ન અટક્યા તો ચાલી રહેલી શાંતિ વાટાઘાટો સંપૂર્ણપણે પાટા પરથી ઉતરી જશે અને યુદ્ધ ફરી ભિષણ સ્વરૂપ ધારણ કરશે.
👉 આ સમાચાર વાચો:
Iowa Shooting। અમેરિકામાં સામૂહિક ગોળીબાર, એક જ પરિવારના ૭ લોકોના મોતથી ચકચાર
