News Continuous Bureau | Mumbai
Jain Festival મુંબઈ, ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૫: વિશ્વ શાંતિના સંદેશ અને જૈન સમાજની એકતાનાં પ્રતિકરૂપે આગામી ૧૪ મી સપ્ટેમ્બર અને રવિવારે દક્ષિણ મુંબઇમાં ૨૦૦ થી વધુ જૈન સંઘોની એક ઐતિહાસિક રથયાત્રા યોજાશે. જેનું ઉદ્ઘાટન મહારાષ્ટ્ર સરકારનાં કેબિનેટ મંત્રી અને જૈન અગ્રણી મંગલ પ્રભાત લોઢાના હસ્તે થશે. સીપી ટેન્કથી સવારે ૯ વાગ્યે શરૂ થનારી આ શોભાયાત્રા વિવિધ માર્ગો ઉપરથી પસાર થઈને ગોવાલિયા ટેન્ક ખાતે સમાપ્ત થશે. આશરે એક લાખ જૈન શ્રદ્ધાળુઓને આવરી લેતી આ સામૂહિક રથયાત્રાનું આયોજન શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન દ્વારા કરવામાં આવી રહ્યું છે.
શ્રી મુંબઈ જૈન સંઘના અધિકારી મુકેશ જૈને જણાવ્યું હતું કે દક્ષિણ મુંબઇનાં ૨૦૦ થી વધુ જૈન સંઘોની આ રથયાત્રામાં ૨૪ તીર્થંકરોની પ્રતિમાઓથી શણગારેલા રથ, ભગવાન મહાવીર સ્વામીની ૨૦ ફૂટ ઊંચી પ્રતિમા, ૪૦૦ સાધુ-સાધ્વીઓ અને હજારો વિદ્યાર્થીઓ ભાગ લેશે. ભક્તિ સંગીત માટે ૧૫ થી વધુ ધાર્મિક બેન્ડ અને ૫૫ ધાર્મિક ફિલ્મો ખાસ આકર્ષણ રહેશે. આ રથયાત્રામાં મુખ્ય મહેમાન તરીકે કેબિનેટ મંત્રી મંગલપ્રભાત લોઢા હાજર રહેશે. આયોજકોનું કહેવું છે કે આ રથયાત્રા શ્રદ્ધા, શિસ્ત અને વિશ્વ ભાઈચારોનું અનોખું પ્રતીક બનશે. જેમાં હજારો શ્રાવક અને શ્રાવિકાઓ ભક્તિભાવથી રથયાત્રામાં ભાગ લેશે. ભક્તિનો આ ઉત્સવ રવિવારે સવારે ૯ વાગ્યે દક્ષિણ મુંબઈના સી.પી. ટેન્કથી શરૂ થશે. ત્યારબાદ આ યાત્રા સિક્કાનગર, ખેતવાડી, પ્રાર્થના સમાજ, ઓપેરા હાઉસ, ગાવદેવી, ઓગસ્ટ ક્રાંતિ મેદાન, મથુરાદાસ હોલથી શરૂ થઈને ગોવાલિયા ટેન્ક ખાતે પૂર્ણ થશે, એમ આશિષ શાહે જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Karishma Sharma: રાગિની એમએમએસ રિટર્ન્સ’ ફેમ એક્ટ્રેસ કરિશ્મા શર્માએ ચાલુ ટ્રેનમાંથી કૂદી, માથામાં થઈ ઇજા
આ ઉપરાંત ભગવાન મહાવીર સ્વામીના ૨૫૫૧ મા નિર્વાણ મહોત્સવની ઉજવણી માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રથયાત્રા દરમિયાન પુષ્પવર્ષા, ધાર્મિક સંદેશાઓ અને સ્વામિ વાત્સલ્ય એટલે કે સામુહિક ભોજનનું પણ આયોજન કરવામાં આવશે. શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના વીરેન્દ્ર શાહ, ઘેવરચંદ બોહરા, નીતિન વોરા, રાકેશ શાહ, જયેશ ભાઈ લબ્ધી અને અન્ય કાર્યકરો યાત્રાને ઐતિહાસિક બનાવવા માટે કાર્યરત છે.