ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ઑગસ્ટ, 2021
મંગળવાર
પવિત્ર અને પાવનકારી શ્રાવણ માસનો ગઈ કાલથી પ્રારંભ થઈ ચૂક્યો છે. સોમવારથી શ્રાવણની શરૂઆત થતાં ભાવિકોનો ભક્તિમય ઉત્સાહ બેવડાયો છે. બાર જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ એવા સોમનાથ મહાદેવના મંદિરે શ્રાવણના પ્રથમ દિવસે શિવભક્તો દ્વારા 31 ધજાજી ચઢાવવામાં આવી હતી. જ્યારે 12 તત્કાલ મહાપૂજા કરવામાં આવી હતી. 30 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ શિવજીનાં ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.
કોરોનાકાળમાં ભાવિકો સલામતી સાથે સોમનાથ દાદાને શીશ ઝુકાવી શકે એ માટે મંદિરના ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિશ્વના કોઈ પણ ખૂણે બેઠેલા ભક્તો સોમનાથ મહાદેવનાં દર્શન કરી શકે એ માટે પણ ટ્રસ્ટ દ્વારા ઑનલાઇન આરતી દર્શનની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. વર્ષે દહાડે કરોડો ભાવિકો સોમનાથ દાદાનાં ઑનલાઇન દર્શન કરે છે.
શ્રાવણ માસ દરમિયાન સોમનાથ દાદાને રોજ વિવિધ શૃંગાર કરવામાં આવી રહ્યો છે. પ્રથમ સોમવારે મંદિરમાં સોમનાથ મહાદેવને આખા દિવસ દરમિયાન અલગ-અલગ પ્રકારના શૃંગાર કરવામા આવ્યા હતા, જેનાં દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.