પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
Bhagavat : ઇશ્વરને એવી ઈચ્છા નથી કે કોઈ તેમની સેવા કરે, ઈશ્વર નિજ લાભ પરિપૂર્ણ છે. તેને કોઇ વસ્તુની અપેક્ષા નથી. તે
સ્વયં આનંદરૂપ છે. તેની ઈચ્છા એવી નથી કે વૈષ્ણવો ( Vaishnavas ) તેમને ભોગ ધરે. ઈશ્વરને ખાવાની ઈચ્છા નથી. ઇશ્વર નિષ્કામ છે.
ભક્તોને રાજી કરવા ભગવાન આરોગે છે.
ભગવાનને નિવેદન કર્યા વગર કાંઈ ખાશો નહીં. ઇશ્વરનું ઇશ્વરને અર્પણ કરવાનું છે. પ્રેમથી અર્પણ કરશો, તો ભગવાન
પ્રસન્ન થશે. ઈશ્વરને અર્પણ કર્યા વગર ખાય, તે ભૂખ્યો મરે છે. ઇશ્વરને અર્પણ કરશો તો અનંતગણું બનાવીને ઈશ્વર પાછું
આપશે. ઈશ્વર કહે છે આ સર્વ મેં બનાવ્યું છે. તે જ મને અર્પણ કરે, તેમાં આશ્ર્ચર્ય નથી. પણ મને અર્પણ કર્યા વગર ખાય તો તું
હરામખોર છે.
ભગવાન ફકત તમારો ભાવ જુએ છે. ભગવાનને ઘરે કયાં ખોટ છે?
ભગવાને આપેલું જ તેને આપવાનું છે ને? કોઈ વસ્તુને ઉત્પન્ન કરવાની શક્તિ જીવમાં નથી. આ સર્વ શ્રીકૃષ્ણનું ( Sri Krishna ) છે.
દીવો કરવાથી કે આરતી ( Aarti ) ઉતારવાથી ભગવાનના ઘરે અજવાળું થવાનું નથી, પ્રકાશ તમારા હ્રદયમાં થશે. ઇશ્વરનું અંગ
તો સ્વયં પ્રકાશમય છે.
સેવા કરવાથી સેવકને સુખ થાય છે. તેથી ભગવાનને શું સુખ મળવાનું હતું? તે તો પરમાનંદ સ્વરૂપ છે.
જીવને આપનાર ઈશ્વર છે. પરંતુ મનુષ્ય નિવેદન કરે, એટલે ભગવાન પ્રસન્ન થાય છે.
સેવા અને પૂજામાં ભેદ છે. જ્યાં પ્રેમ પ્રધાન છે તે સેવા. જયાં વેદ મંત્રો પ્રધાન છે તે પૂજા. પૂજા કરો તો અનન્ય પ્રેમથી
કરો. સ્નેહ વિનાનું બધું જ વ્યર્થ જાય છે. સારા કપડાં બગડવાની બીકે મંદિરમાં મનુષ્ય ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરતા નથી.
નર કપડનકોં ડરત હૈ, નરક પડનકીં નાહિં. સર્વ ઇશ્વરનું જ છે. ફકત તેને અર્પણ કરવાનું છે. તમારી અર્પણ કરવાની રીતથી તમારો
મન નો ભાવ દેખાઈ આવશે.
પૂજા કરવાની હોય છે. ગોર મહારાજે પૂજા વખતે જોયું તો ગણપતિની મૂર્તિ હતી નહીં. હવે શું થાય? ગોર મહારાજ જ્ઞાની હતા, જયાં
પ્રેમથી પધરાવો ત્યાં આવીને ઈશ્વર બિરાજે છે. સોપારીમાં પણ ભગવાન આવીને બેસે છે. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ઠાકોરજીને અર્પણ
કરવી એ ભક્તિ છે. નૈવેદ્યનો ગોળ હતો. તે ગોળના ગણપતિ ( Ganapati ) બનાવ્યા. યજમાનને પૂજા કરવાનું કહ્યું. ધૂપદીપ થયા પછી નૈવેદ્ય અર્પણ કરવાનો સમય આવ્યો, નૈવેદ્યના ગોળના તો ગણપતિ બનાવ્યા હતા. હવે નૈવેદ્ય લાવવું કયાંથી? એટલે ગોર મહારાજે
ફરીથી તે ગોળના ગણપતિની મૂર્તિમાંથી થોડો ગોળ કાઢી લીધો અને ગોળનું નૈવેદ્ય ધર્યું. ગુળાચા ગણપતિ ગુળાચા નૈવૈદ્ય ( Naivaidya ) ।
ગોળના ગણપતિ અને ગોળનું નૈવેદ્ય. આવી પૂજાથી પણ ગણપતિ પ્રસન્ન થાય. યજમાનના કાર્યમાં વિઘ્ન ન આવ્યું. કારણ આ
કાર્ય પાછળ ભાવના શુદ્ધ હતી. વસ્તુનું મહત્ત્વ નથી પણ ભાવની મહત્તા છે. સેવા સદ્ભાવથી કરો તો સફળ થાય. સેવા કરતાં
રોમાંચ થાય, સેવા કરતાં આંખમાં આંસુ આવે, તે સેવા સાચી સેવા. સેવા ક્રિયાત્મક નહિ, ભાવાત્મક હોવી જોઈએ. સેવા કરતાં
આનંદ થાય તેનું નામ સેવા. થોડું કરો પણ પ્રેમપૂર્વક કરો. ભગવાન માટે રસોઈ કરો. ભગવાનને અર્પણ કરીને જમો.
નાથ, આપ વિશ્વંભર છો. સર્વેના માલિક છો, તમને કોણ જમાડી શકે? તમારું તમને અર્પણ કરું છું. ઈશ્વરનું ઈશ્વરને
અર્પણ કરવાનું છે. અરે આ જીવ બીજું લાવે કયાંથી? જીવ બીજે કયાંથી લાવવાનો હતો? ફકત ભાવનાની કિંમત છે. પરમાત્મા
પરિપૂર્ણ છે. ઇશ્વરને અપેક્ષા નથી. પરમાત્માને કોઈ વસ્તુની ભૂખ નથી પણ ફકત પ્રેમની ભૂખ છે. ભગવાનને ભાવથી અર્પણ
કરશો. તો તે અનંતગણું કરીને આપશે.
ભક્તિમાર્ગમાં ભાવના વગર સિદ્ધિ મળતી નથી. જ્ઞાનમાર્ગમાં ત્યાગ અને વૈરાગ્યની જરૂર છે.
બાળકને બાપ રૂપિયો આપે છે. બાપ તે પાછો માગે છે. ઘણાં બાળકો રૂપિયા આપતાં નથી. પિતાને દુઃખ થાય છે. મેં જ
રૂપિયો આપ્યો અને મને તે આપતો નથી. પણ જે બાળક રૂપિયો આપે તો પિતાને આનંદ થાય છે. રૂપિયો પિતાનો છે. તો પણ
આનંદ થાય છે. જીવમાત્રના પિતા ઈશ્ર્વર છે, તેણે જે આપ્યું તે જ તેને આપવાનું છે. એવો નિયમ લેજો કે ઠાકોરજીને અર્પણ
કર્યા વગર હું ખાઈશ નહીં. કેટલીક વાર બધાને બહાર જમવાનું હોય તો ભગવાનને એકલા દૂધ ઉપર રાખે છે. નાથ, દૂધ જમો. મારે
આજે મોહનથાળ જમવા જવાનું છે. ઘરમાં કોઈ જમનાર ન હોય, તો પણ ભગવાન માટે રસોઈ બનાવો. કથામાં કાંઈ નિયમ નહીં
લો તો તમારી કથા સાંભળી પણ વ્યર્થ અને વક્તાની કથા કરેલી પણ વ્યર્થ. કેટલાક કહે છે, કથા સાંભળી નાખી. અરે કથા
સાંભળીને નાખી દેવાની નથી, કાનમાં રાખવાની છે, હૈયામાં રાખવાની છે.